શિપિંગ કોપો. તથા NSLમાં પોતાના હિસ્સાનું વેચાણ કરવા સરકાર તૈયાર
- હાલમાં કેન્દ્રમાં મિશ્ર સરકાર ચાલતી હોવાથી ખાનગીકરણ કાર્યક્રમમાં આગળ વધવાનું નીતિવિષયકો માટે મુશ્કેલ
મુંબઈ : જાહેર ક્ષેત્રના કેટલાક ઉપક્રમોમાંથી પોતાનો બહુમતિ હિસ્સો વેચવા સરકાર તૈયારીમાં છે. વર્તમાન નાણાં વર્ષ માટે ડિસઈન્વેસ્ટમેન્ટસનો ટાર્ગેટ નિશ્ચિત કરવાનું સરકારે ટાળ્યું છે આમ છતાં ઈન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગે (દીપમ) શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસસીઆઈ) તથા એનએમડીસી સ્ટીલ લિ. (એનએસએલ) જેવા કેટલાક ઉપક્રમોમાંથી ૫૧ ટકા કે તેથી વધુનો હિસ્સાનું વેચાણ કરવાની તૈયારીઓ પૂરી કરી લીધી છે માત્ર વડા પ્રધાનની કચેરી (પીએમઓ)ની લીલીઝંડીની રાહ જોવાઈ રહી છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
આ બન્ને કંપનીઓના વેચાણ માટેની તૈયારીઓ થઈ ગઈ છે અને ફાઈનાન્સિઅલ બિડ જ મંગાવવાનું બાકી છે.
જાહેર ક્ષેત્રના ઉપક્રમોના વેચાણમાં સરકારને કર્મચારીઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એનએસએલની વાત કરીએ તો તેની એસેટસનું મૂલ્ય હાલના બજાર ભાવ પ્રમાણે રૂપિયા ૩૬૯૩૦ કરોડ જેટલું થવા જાય છે.
સરકારી કંપનીઓના કર્મચારીઓની નારાજગી વહોરી લેવા મગતી નહીં હોવાથી સરકારે લોકસભાની ચૂંટણી પહેલા ખાનગીકરણની પ્રક્રિયા લગભગ અટકાવી દીધી હતી.
જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં હિસ્સાના વેચાણમાં નીતિવિષયક સાથોસાથ સરકારે રાજકીય દ્રષ્ટિકોણથી પણ નિર્ણય લેવા પડતા હોય છે, એમ સુત્રોએ જણાવ્યું હતું.
હાલમાં કેન્દ્રમાં મિશ્ર સરકાર ચાલતી હોવાથી ખાનગીકરણ કાર્યક્રમમાં આગળ વધવાનું નીતિવિષયકો માટે મુશકેલ બની રહ્યું છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને જ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટનો કોઈ ટાર્ગેટ જાહેર કરવા માગતા નહીં હોવાનું પણ જણાવાયું હતું.
દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક રિપોર્ટમાં સરકારી બેન્કોમાં ડિસઈન્વેસ્ટમેન્ટસ કાર્યક્રમ અંગે આગામી બજેટમાં સરકારે પ્રકાશ પાડવો જોઈએ અને તેમાં આગળ વધવું જોઈએ તેવી નોંધ કરી છે.