Get The App

નવું ઇન્કમ ટેક્સ બિલ લોકસભામાંથી પસાર, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
નવું ઇન્કમ ટેક્સ બિલ લોકસભામાંથી પસાર, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ 1 - image


Revised Income Tax Bill 2025 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભઆમાં રજૂ કરેલું ઇન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2025 (Revised Income Tax Bill, 2025) પસાર થઈ ગયું છે. હવે આ બિલ રાષ્ટ્રપતિ સમક્ષ મોકલાશે, રાષ્ટ્રપતિની ફાઇનલ મહોર વાગ્યા બાદ બિલ કાયદો બની જશે. આ બિલ શુક્રવારે (7 ઑગસ્ટ) લોકસભામાં રજૂ કરાયું હતું, પરંતુ લોકસભા સ્થગિત થવાના કારણે તેમણે બિલ પરત ખેંચી લેવું પડ્યું હતું. 1961ના આવકવેરા ધારાને સરળ બનાવીને તેનું સ્થાન લેવા માટે તૈયાર કરવામાં આવેલા ઇન્કમટેક્સ સુધારા ખરડામાં કાયદાને સરળ બનાવવાનું અને દંડને ઓછો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઇન્કમટેક્સ બિલ કેમ પરત લેવાયું?

શુક્રવારે ઇન્કમટેક્સ બિલ પરત ખેંચી લેવાયું હતું, પછી કમિટીની ભલામણ બાદ કેન્દ્ર સરકારે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે, ત્યારબાદ આજે ફરી સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, ‘હવે એવું કહી શકાય કે, ઇન્કમટેક્સ હવે સંપૂર્ણ નવું હશે, બિલ પર ઘણું કામ કરવામાં આવ્યું છે. તે જૂના બિલ કરતાં તદ્દન અલગ હશે.’

નવું ઇન્કમ ટેક્સ બિલ લોકસભામાંથી પસાર, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ 2 - image

ઇન્કમટેક્સ બિલમાં 285 સુધારા કરાયા

લોકસભા પસંદગી સમિતીની અધ્યક્ષતા કરનારા ભાજપ નેતા બૈજયંત પાંડાએ ‘ઇન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2025’માં 285 સુધારા કરવાનું સૂચન આપ્યું હતું, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધું છે. ઇન્કમટેક્સના જૂના બિલમાં ઘણી મૂંઝવણો છે, જેના કારણે હવે તેને નવા ફેરફાર સાથે રજૂ કરવામાં આવ્યું છે.

ડિવિડંડ વિતરણની કલમમાં સુધારા

કમિટીએ 21 જુલાઈએ ઇન્કમટેક્સ બિલ અંગેના સૂચનો રજૂ કર્યા હતા. હવે આ સૂચનોને નવા બિલમાં જોડવામાં આવ્યા છે. કમિટીએ કંપનીઓ વચ્ચે ડિવિડંડનું વિતરણ કરવાને લગતી કલમ 80 (એમ) અંગે પણ કેટલા સુધારાઓ સૂચવ્યા છે. કંપનીઓ વચ્ચે ડિવિડંડની વહેંચણી થાય ત્યારે કલમ 115બીએએની જોગવાઈનો લાભ આપવામાં આવતો હતો. આ ડિવિડંડ પર સ્પેશિયલ રેટ લગાડવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ બિલમાં આ બાબતનો ઉલ્લેખ કરવાનો જ રહી ગયો હતો. સિલેક્ટ કમિટીએ આ બાબત પરત્વે ધ્યાન દોર્યું હતું. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટાભાગના સુધારાઓ સમાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારાઓમાં આવકવેરાના નિયમો કે કલમોનો ભંગ કરવા બદલ અગાઉના બિલમાં બહુ જ મોટી રકમનો દંડ કરવામાં આવતો હતો. હવે આ દંડની રકમ ખાસ્સી ઓછી કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 'મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન...', આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યુ

કરદાતાઓને રાહત, રિફંડ આપી દેવાનું સૂચન

કરદાતા ડ્યુ ડેટ પછી તેનું રિટર્ન ફાઇલ કરે તો તેને રિફંડ આપવાની ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા ખરડામાં ના પાડી દેવામાં આવી હતી. આ રિફંડ આપી દેવાનું સૂચન સિલેક્ટ કમિટીએ જણાવ્યું છે. કરદાતાએ ફ્લેટ ખરીદ્યો હોય અને બાંકામ કામ ફાઇનલ ન થયું હોય તો પહેલા લોન લઈને હપ્તા ભર્યા હોય તો તે રકમ વેરામાં બાદ આપવામાં આવતી નહોતી. હવે તે રકમ પણ બાદ આપવાની ભલામણ કરવામાં આવી છે. હા, તેને માટે જૂની સિસ્ટમ મુજબ રિટર્ન ફાઇલ કરવાનું આવશે. સૌ પ્રથમ તો કોઈ વ્યક્તિ ફ્લેટની ખરીદી કરવા માટે બૅન્કમાંથી લોનનો ઉપાડ કરે છે. તે પ્રોપર્ટીનું બાંધકામ થાય તે પહેલા જ તેના પર વ્યાજ ચૂકવે છે. વ્યાજની આ રકમ કરદાતાને આવકમાંથી બાદ આપવામાં આવતી નથી. માત્ર પોતાની માલિકીની મિલકતમાં જ લોનના વ્યાજની ચૂકવણીની રકમ આવકમાંથી બાદ આપવામાં આવે છે. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટા સુધારામાંનો આ એક સુધારો છે. 

ભાડાની મિલકતના માલિકો માટે પણ ખાસ સૂચન

મ્યુનિસિપાલટીના વેરાની કપાત કર્યા પછી આપવામાં આવતા 30 ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ, તેવો આગ્રહ સિલેક્ટ કમિટીએ રાખ્યો છે. આ લાભ ભાડાની મિલકતના માલિકોને પણ આપવો જોઈએ. 

ચેરિટેબલ ટ્રસ્ટને માટે પણ કેટલાક સુધારા

કમિટીએ ચેરિટેબલ ટ્રસ્ટને માટે પણ કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટને નનામી ડોનેશન આવતું હતું તેના પર 30 ટકાના દરે ટેક્સ લેવાનું ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા સુધારા ખરડામાં નક્કી કરવામાં આવ્યું હતું. આ સુધારો લાવવાને કારણે ટ્રસ્ટની તકલીફો વધી જવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. નાના નાના દાતાઓના નામ અને આધારકાર્ડ  કે પાનકાર્ડ મેળવવા કઠિન હોવાથી તે રકમના દાતાઓની વિગતો આપી શકાય તેમ ન હોવાની દલીલ આગળ કરવામાં આવી હતી. સિલેક્ટ કમિટીએ પણ આ જોગવાઈ ખાસ્સી તકલીફદાયક હોવાનો નિર્દેશ આપ્યો તેને પરિણામે આ જોગવાઈને પણ હળવી કરી દઈને રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : દિલ્હીના તમામ રખડતાં કૂતરાઓને પકડી શેલ્ટર હોમમાં રાખો: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

Tags :