ઓનલાઈન ફ્રોડમાં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. 25000 સુધીનું વળતર: RBIનો મોટો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI online fraud rule: વિચારો કે એક દિવસ અચાનક તમારા ફોન પર મેસેજ આવે છે કે તમારા બેન્ક ખાતામાંથી 20,000 રૂપિયા કપાઈ ગયા છે, જ્યારે તમે આવું કોઈ પેમેન્ટ કર્યું જ નથી કે નથી કોઈ મંજૂરી (અપ્રૂવલ) આપી! અત્યાર સુધી આવા ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં બેન્ક પણ લાચાર દેખાતી હતી અને સામાન્ય લોકોના પૈસા પાછા મળવા ખૂબ મુશ્કેલ બની જતા હતા. પરંતુ હવે આવા ડિજિટલ સ્કેમનો ભોગ બનતા ગ્રાહકોની મદદ માટે દેશની કેન્દ્રીય બેન્ક એટલે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આગળ આવી છે. 24 જૂન 2026ના રોજ RBI દ્વારા એક નવો ઐતિહાસિક નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ જો હવેથી તમારી સાથે કોઈ પણ ઓનલાઇન ફ્રોડ કે UPI છેતરપિંડી થશે, તો રિઝર્વ બેન્ક પોતે તમને થયેલા નુકસાનનું વળતર ચૂકવશે.
કયા ટ્રાન્ઝેક્શન પર મળશે વળતર અને ક્યારથી લાગુ થશે નિયમ?
આ નવો નિયમ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, પેમેન્ટ બેન્ક, પ્રાદેશિક ગ્રામીણ બેન્ક અને લોકલ એરિયા બેન્કને બાદ કરતાં તમામ કમર્શિયલ બેન્ક પર લાગુ થશે. આ નિયમ 1 જાન્યુઆરી, 2027 કે તેના પછી થનારા તમામ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે લાગુ થઈ જશે.
સરળ શબ્દોમાં કહીએ તો, આમાં આજના સમયના તમામ ડિજિટલ પેમેન્ટ મોડ જેવા કે, UPI ટ્રાન્સફર, નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ (પછી ભલે તે કાર્ડ સ્વાઇપ/ટેપ કરીને કરાયું હોય કે ઓનલાઇન ડિટેલ્સ નાખીને) વગેરે તમામ પ્રકારના ડિજિટલ વ્યવહારોને આવરી લેવામાં આવ્યા છે.
જો ભૂલ બેન્ક કે થર્ડ પાર્ટીની હશે, તો મળશે સંપૂર્ણ રિફંડ
જ્યારે પણ કોઈ છેતરપિંડી થાય, ત્યારે બેન્ક એવું કહીને બચી નહીં શકે કે ગ્રાહકની બેદરકારી હતી, બેન્કે તે સાબિત કરવું પડશે. આ માટે આરબીઆઈએ 3 શરતો રાખી છે:
- બેન્કની ભૂલ: જો ફ્રોડ બેન્કની સુરક્ષા ખામી, સિસ્ટમની ગરબડ કે બેન્ક દ્વારા એલર્ટ ન મોકલવાના કારણે થયું હશે, તો બેન્ક ગ્રાહકને પૂરેપૂરા પૈસા પાછા આપશે, ભલે ગ્રાહકે તેની જાણ કરી હોય કે ન હોય.
- થર્ડ પાર્ટીની ભૂલ: જો ફ્રોડ કોઈ પેમેન્ટ એપ, પેમેન્ટ ગેટવે કે ટેલિકોમ પ્રોવાઈડર (થર્ડ પાર્ટી)ના કારણે થયું હશે, તો પણ ગ્રાહકને સંપૂર્ણ રિફંડ (શૂન્ય જવાબદારી) મળશે. પરંતુ આ માટે શરત એટલી જ છે કે ગ્રાહકે ફ્રોડ થયાના 5 કેલેન્ડર દિવસની અંદર બેન્કને જાણ કરવી પડશે. 5 દિવસ પછી રિપોર્ટ કરવા પર બેન્કની આંતરિક પોલિસી મુજબ નિર્ણય લેવાશે.
- ગ્રાહકની પોતાની ભૂલ હશે તો પણ મળશે વળતર!: આ નોટિફિકેશનનો સૌથી નવો અને મહત્ત્વનો ભાગ એ છે કે, જો ગ્રાહકની પોતાની બેદરકારીના કારણે ફ્રોડ થયું હશે (જેમ કે કોઈ ફિશિંગ લિંક પર ક્લિક કર્યું હોય કે ભૂલથી OTP શેર કરી દીધો હોય), તો પણ ગ્રાહકને વળતર મળી શકે છે! જો નુકસાન ઓછું હોય અને ગ્રાહકે તરત જ પગલાં લીધા હોય, તો આ નિયમ હેઠળ રાહત મળશે.
આ પણ વાંચો: ગોલ્ડ લોનની માંગમાં ૮૪%નો વધારો
કોને અને કેટલું વળતર મળશે?
RBIના નિયમ મુજબ વળતર મેળવવાની શરતો:
જીવનમાં માત્ર એક જ વાર: આ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિને તેના આખા જીવનમાં માત્ર 1 જ વાર વળતર મળી શકશે. બીજી વાર ફ્રોડ થાય તો કોઈ મદદ નહીં મળે.
વળતરની મર્યાદા: તમને વધુમાં વધુ 25,000 રૂપિયા અથવા નુકસાનના 85% (બેમાંથી જે ઓછું હોય તેટલા જ) પૈસા પાછા મળશે.
ઉદાહરણ તરીકે: જો તમારી સાથે 50,000 રૂપિયાનું ફ્રોડ થાય, તો નિયમ પ્રમાણે તેના 85% એટલે કે 42,500 રૂપિયા થાય. પરંતુ નિયમની મર્યાદા મહત્તમ 25,000 રૂપિયાની હોવાથી, તમને 25,000 રૂપિયા જ વળતર મળશે.
જો ગ્રાહકની ભૂલ વિના અન્ય કોઈ રીતે ફ્રોડ થયું હોય, તો ગ્રાહકે ઘટના બન્યાના 5 કેલેન્ડર દિવસની અંદર નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ, હેલ્પલાઇન નંબર (1930) અથવા પોતાની બેન્કમાં ફરિયાદ નોંધાવવી ફરજિયાત છે. ફરિયાદ મળતાં જ બેન્ક ગ્રાહકના ખાતામાંથી થતા વધુ અનધિકૃત વ્યવહારો રોકવા માટે તાત્કાલિક પગલાં લેશે.
નુકસાન અને વળતરની વહેંચણી કેવી રીતે થશે?
ગ્રાહકને મળવાપાત્ર 85% વળતરમાંથી 65% હિસ્સો RBI ભોગવશે, 10% ગ્રાહકની બેન્ક અને બાકીનો 10% લાભાર્થી બેન્ક (જે ખાતામાં ફ્રોડના પૈસા ગયા હોય તે) ભોગવશે. જો ફ્રોડના પૈસામાંથી કંઈપણ રિકવરી (પૈસા પાછા ખેંચવા) થાય, તો તે રકમને બાદ કર્યા પછી જ વળતર ગણાશે.








