EPFO 3.0 લોન્ચ થવાની તૈયારી, PF સંબંધિત 5 નિયમો બદલાશે, ખાતાધારકોને થશે ફાયદો
EPFO 3.0: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક જ સમયમાં પોતાનું નવું પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરવા જઈ રહ્યું છે. EPFO 3.0 પાસે એક મજબૂત IT પ્લેટફોર્મ હશે, જેનો ઉદ્દેશ્ય ખાતાધારકોની બેંક જેવી સેવાઓ સુલભ બનાવવાનો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ગત મહિને કહ્યું હતું કે, આ નવી વ્યવસ્થા મે થી જૂન 2025 વચ્ચે ચાલુ થઈ જશે.
મંત્રીએ કહ્યું હતું કે, EPFO 3.0 એક વિશ્વસનીય પ્લેટફોર્મ હશે, જે 9 કરોડથી વધુ ગ્રાહકોને કોઈપણ મુશ્કેલી વિના ઘણી નવી સુવિધાઓ આપશે. જેમ કે તમારા ક્લેમનું ઓટોમેશન સેટલમેન્ટ, ડિજિટલ રીતે ભૂલો સુધારવી અને સૌથી મહત્ત્તવપૂર્ણ ATM માંથી પૈસા ઉપાડવાની સુવિધા. સૌથી મોટો ફાયદો એ થશે કે હવે સભ્યો બેંક ખાતાની જેમ ATMમાંથી EPFના પૈસા ઉપાડી શકશે.
PF સંબંધિત 5 નિયમો બદલાશે
1. PF ઉપાડની પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી બનશે: હવે ક્લેમનું આપમેળે સેટલમેન્ટ થઈ જશે, મેન્યુઅલ કામની જરૂર નહીં પડશે.
2. ATM : ક્લેમ મંજૂર થતાંની સાથે જ, તમે બેંક ખાતાની જેમ જ ATMમાંથી તમારા પૈસા ઉપાડી શકશો.
3. ડિજિટલ કરેક્શન: તમે તમારા ઘરે બેઠા તમારા ખાતાની વિગતો ઓનલાઈન સુધારી શકો છો, જેનાથી ફોર્મ ભરવાની ઝંઝટ દૂર થઈ જશે.
4. સામાજિક સુરક્ષા યોજનાઓનું એકીકરણ: EPFO હવે અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના જેવી અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓને તેની સિસ્ટમમાં એકીકૃત કરવાનું વિચારી રહ્યું છે જેથી અસંગઠિત અને અનૌપચારિક ક્ષેત્રના કામદારોને પણ પેન્શન અને સુરક્ષાના વધુ સારા લાભ મળી શકે.
આ પણ વાંચો: 'જોધા અને અકબરના લગ્ન નહોતા થયા...', રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો
5. OTP આધારિત ચકાસણી: લાંબા ફોર્મને બદલે તમે હવે OTPનો ઉપયોગ કરીને ઝડપી અને સુરક્ષિત ફેરફારો કરી શકો છો.
ESIC આરોગ્ય સેવાઓ:
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) પણ પોતાની સેવાઓને અપગ્રેડ કરી રહ્યું છે. ટૂંક સમયમાં ESIC લાભાર્થીઓ આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારી, ખાનગી અને ચેરિટેબલ હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ ઉઠાવી શકશે. હાલમાં ESIC 165 હોસ્પિટલો દ્વારા 18 કરોડ લોકોને તબીબી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.