Business

રૂ. 50 કરોડ કે તેનાથી વધુનુ ટર્નઓવર ધરાવતી શોપ્સ તથા વેપાર ગૃહોએ ડિજિટલ પેમેન્ટ વિકલ્પ પૂરો પાડવાનું ફરજિયાત

By GS Team
31 Dec 20192 mins read
This article was originally published on 31 Dec 2019
રૂ. 50 કરોડ કે તેનાથી વધુનુ ટર્નઓવર ધરાવતી શોપ્સ તથા વેપાર ગૃહોએ ડિજિટલ પેમેન્ટ વિકલ્પ પૂરો પાડવાનું ફરજિયાત

મુંબઈ, તા.31 ડિસેમ્બર 2019, મંગળવાર

રૂપિયા ૫૦ કરોડ કે તેનાથી વધુનું ટર્નઓવર ધરાવતી શોપ્સ, વેપાર પેઢીઓ અથવા કંપનીઓએ  ૧લી ફેબુ્રઆરીથી પોતાના ગ્રાહકો માટે ડિજિટલ પેમેન્ટ સુવિધા પૂરી પાડવાનું ફરજિયાત રહેશે. આ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જનાર દૂકાનો કે કંપનીઓ પાસેથી દૈનિક ધોરણે જંગી દંડ વસૂલવામાં આવશે એમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસિસ (સીબીડીટી)ના સુત્રોએ જણાવ્યું હતું.

દેશને લેસ-કેશ ઈકોનોમી બનાવવાના સરકારના લક્ષ્યાંકમાં આગળ વધવાના ભાગરૂપ આ નિર્ણય લેવાયો છે. નિશ્ચિત કરાયેલા ડિજિટલ મોડસમાં પેમેન્ટસ નહીં સ્વીકારાય તો રૂપિયા ૫૦૦૦ સુધીનો દંડ વસૂલવામાં આવશે. 

સીબીડીટી દ્વારા જારી કરાયેલા એક સર્ક્યુલરમાં જણાવાયું છે કે,  જેઓ ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં આ સિસ્ટમ ઈન્સ્ટોલ તથા કાર્યરત કરી નાખશે તેમની પાસેથી ફાઈનાન્સ એકટની કલમ ૨૭૧ડીબી હેઠળ દંડ વસૂલવામાં આવશે નહીંં. 

દેશને લેસ કેશ ઈકોનોમી બનાવવા આવક વેરા ધારામાં નવી જોગવાઈનો ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં ડિજિટલ પેમેન્ટસ સુવિધા પૂરી પાડવાનું ફરજિયાત બનાવાયું છે. આ ડિજિટલ ટ્રાન્ઝકશન્સ માટે મરચંટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલાશે નહીં. આ રેટ એટલે એક મરચંટે ટ્રાન્ઝકશન્સ પેટે બેન્કોને ચૂકવવાની રહેતી રકમ છે. 

૨૦૧૯ના જુલાઈમા ંરજુ કરેલા બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કેટલાક મોડ ઓપ પેમેન્ટને સસ્તા દરના ડિજિટલ મોડસ ઓફ પેમેન્ટ તરીકે જાહેર કર્યા હતા, જેમાં મરચંટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જિસ લાગુ નહીં થાય. 

રૂપિયા ૫૦ કરોડથી વધુના વાર્ષિક ટર્નઓવર સાથેના વેપાર ગૃહોને મરચંટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જિસમાંથી મુક્તિ અપાયાનું નાણાં પ્રધાને ગત શનિવારે જાહેર કર્યું હતું. 

અત્રે ઉલ્લેખનિય છે કે, ૨૦૧૬માં લવાયેલી નોટબંધી બાદ દેશમાં ડિજિટલ પેમેન્ટસ સુવિધા વધારવા પર સરકાર દ્વારા અવારનવાર ભાર અપાતો રહ્યો છે. ગ્રાહકોને પણ ખરીદી સામે ડિજિટલ પેમેન્ટસ કરવા પ્રોત્સાહન પૂરા પાડવામાં આવી રહ્યા છે. આમછતાં દેશમાં ડિજિટલ ટ્રાન્ઝકશન્સનો વ્યાપ અપેક્ષા પ્રમાણે વધ્યો નથી.