કંપનીઓએ શેરધારકોને રૂ.5 લાખ કરોડ ડિવિડન્ડ ચૂકવ્યું
- કંપનીઓનો કુલ ચોખ્ખો નફો નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૫.૨ ટકા વધીને રૂ. ૧૬ લાખ કરોડ થયો
- ચોખ્ખી આવક ૭.૫ ટકા વધીને રૂ. ૧૬૬.૪ લાખ કરોડ રહી
અમદાવાદ : ગયા નાણાકીય વર્ષમાં આવક અને નફામાં નરમાઈ છતાં, પણ ભારતીય કોર્પોરેટ ક્ષેત્રએ તેના શેરધારકોને અગાઉની તુલનાએ વધુ ડિવિડન્ડ ચૂકવ્યા છે. દેશની અગ્રણી લિસ્ટેડ કંપનીઓની કુલ ડિવિડન્ડ ચુકવણી નાણાકીય વર્ષ ૨૦૨૫ માં રૂ. ૫ લાખ કરોડ રહી હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂ. ૪.૫૨ લાખ કરોડ કરતાં ૧૦.૮ ટકા વધુ છે.
ડિવિડન્ડની તુલનામાં, આ કંપનીઓનો કુલ ચોખ્ખો નફો નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૫.૨ ટકા વધીને રૂ. ૧૬ લાખ કરોડ થયો હતો, જે પાછલા નાણાકીય વર્ષમાં રૂ. ૧૫.૨૧ લાખ કરોડ હતો. આ કંપનીઓની કુલ ચોખ્ખી આવક/વેચાણ નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૭.૫ ટકા વધીને રૂ. ૧૬૬.૪ લાખ કરોડ રહી હતી, જે નાણાકીય વર્ષ ૨૪માં રૂ. ૧૫૪.૮૩ લાખ કરોડ હતી.
જોકે, કંપનીઓ દ્વારા તેમના શેરધારકોને કરવામાં આવતી કુલ ચુકવણી, જેમાં શેર બાયબેકનો સમાવેશ થાય છે, નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ૧.૭ ટકા વધીને રૂ. ૫.૦૮ લાખ કરોડ થઈ ગઈ છે જે પાછલા નાણાકીય વર્ષમાં રૂ. ૫.૦૩ લાખ કરોડ હતી. કંપનીઓ દ્વારા શેરધારકોને કરવામાં આવતી કુલ ચુકવણી ૫ વર્ષમાં સૌથી ઓછી વધી છે. પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ફક્ત રૂ. ૮,૦૩૪ કરોડના શેર ફરીથી ખરીદવામાં આવ્યા હતા, જે નાણાકીય વર્ષ ૨૦૨૪ માં રૂ. ૫૦,૭૫૧ કરોડ હતા.
પરિણામે, ડિવિડન્ડ ચૂકવણીનો ગુણોત્તર નાણાકીય વર્ષ ૨૦૨૫ માં દાયકાના સૌથી નીચા ૨૯.૭ ટકાથી વધીને ૩૧.૩ ટકા થયો. પરંતુ આ ૧૦ વર્ષના સરેરાશ ચૂકવણી ગુણોત્તર ૩૫ ટકા કરતા ઓછો છે. શેર બાયબેકમાં ઘટાડાને કારણે કુલ ચુકવણીનો આંકડો ઓછો દેખાઈ રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં, કંપનીઓએ તેમના વાર્ષિક ચોખ્ખા નફાના લગભગ ૪૦ ટકા ડિવિડન્ડ અને બાયબેક દ્વારા તેમના શેરધારકોને ચૂકવ્યા છે.
વિશ્લેષકો કહે છે કે ચુકવણી ગુણોત્તરમાં ઘટાડો મુખ્યત્વે આઈટી કંપનીઓ દ્વારા બાયબેક બંધ કરવાના કારણે છે. આઈટી ક્ષેત્રમાં શેર બાયબેકમાં તેજી હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને કંપનીઓ પાસે ઉચ્ચ ડિવિડન્ડ ચૂકવણી દ્વારા તેની ભરપાઈ કરવા માટે કોઈ પ્રોત્સાહન નથી. અન્ય ક્ષેત્રોની કંપનીઓ મૂડી ખર્ચ માટે અથવા આવક અને નફામાં મંદીનો સામનો કરવા માટે નાણાં જાળવી રાખી રહી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫માં સતત બીજા વર્ષે, શેરધારકોને કુલ ચૂકવણી ઓછી રહી છે. કોરોના મહામારી પછી ડિવિડન્ડ અને શેર બાયબેકમાંથી આવકમાં તેજીનો અંત આનો સંકેત છે. ઉદાહરણ તરીકે, કંપનીઓ દ્વારા ડિવિડન્ડ ચૂકવણી FY20 અને ૨૦૨૩ વચ્ચે વાર્ષિક ૨૯.૬ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી હતી, જ્યારે આ સમયગાળા દરમિયાન કુલ ચૂકવણી ૨૮ ટકા વધી હતી. આ સમયગાળા દરમિયાન, કંપનીઓનો નફો પણ વાર્ષિક ૨૯.૫ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યો હતો.
છેલ્લા બે વર્ષમાં કંપનીઓ દ્વારા ડિવિડન્ડ ચુકવણી વાર્ષિક ૭.૪ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી છે, જ્યારે કુલ ચુકવણી ૫.૭ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી છે. આ કંપનીઓના નફા વૃદ્ધિ કરતા ઘણી ધીમી વૃદ્ધિ છે. કંપનીઓનો ચોખ્ખો નફો છેલ્લા બે વર્ષમાં વાર્ષિક ૧૫.૯ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યો છે.
સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવનારમાં ટીસીએસ, આઈટીસી, ઈન્ફોસીસ, વેદાન્તા મોખરે
નાણા વર્ષ ૨૦૨૪-૨૫માં ડિવિડન્ડ ચૂકવનારી ટોચની કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝે ૭૨.૬ ટકા વધુ રૂ.૪૫,૬૧૨ કરોડ, આઈટીસી લિમિટેડે ૪.૬ ટકા વધુ રૂ.૧૭,૯૫૭.૭ કરોડ, ઈન્ફોસીસે ૬.૪ ટકા ઓછું રૂ.૧૭,૮૨૭.૮ કરોડ, વેદાન્તા લિમિટેડે ૫૫ ટકા વધુ રૂ.૧૭,૦૦૮.૫ કરોડ, એચડીએફસી બેંકે ૧૩.૬ ટકા વધુ રૂ.૧૬,૮૩૪.૮ કરોડ, કોલ ઈન્ડિયા રૂ.૩.૯ ટકા વધુ રૂ.૧૬,૩૩૧.૨ કરોડ, એચસીએલ ટેકનોલોજીસે ૧૫.૪ ટકા વધુ રૂ.૧૬,૨૯૦ કરોડ, ઓએનજીસી લિમિટેડે રૂ.૧૫,૪૧૦.૮ કરોડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૬.૧ ટકા વધુ રૂ.૧૪,૧૯૦.૧ કરોડ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે ૨૬.૨ ટકા વધુ રૂ.૧૨,૪૫૫ કરોડ ડિવિડન્ડની ચૂકવણી કરી છે.