CEO બાદ ઈન્ડિગોના ચેરમેને માફી માગી, કહ્યું - જાણીજોઈને સંકટની સ્થિતિ ઊભી નથી કરી

Indigo Crisis News : ઈન્ડિગો એરલાઈન્સમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા સંકટને પગલે, કંપનીના ચેરમેન વિક્રમ સિંહ મહેતાએ બુધવારે જાહેરમાં માફી માંગી છે. તેમણે સ્વીકાર્યું કે 3 ડિસેમ્બરથી મોટા પાયે ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે કંપનીએ તેના ગ્રાહકોને નિરાશ કર્યા છે. જોકે, તેમણે આ સંકટને નવા નિયમોને ટાળવા માટે જાણીજોઈને પેદા કરવામાં આવ્યું હોવાના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા.
Message from Vikram Singh Mehta, Chairman and Non-Executive Independent Director of IndiGo pic.twitter.com/sySacxlFq0
— IndiGo (@IndiGo6E) December 10, 2025
આઠ મિનિટનો વીડિયો શેર કર્યો
આઠ મિનિટના વીડિયો સંદેશમાં મહેતાએ ખાતરી આપી કે એરલાઈનની સેવાઓ અપેક્ષા કરતાં વહેલી સામાન્ય થઈ ગઈ છે. તેમણે કહ્યું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ઘટનાઓની સંપૂર્ણ શ્રેણીની તપાસ કરી રહ્યું છે, જેના કારણે દેશભરમાં હજારો મુસાફરો ફસાયા હતા. મહેતાએ પુષ્ટિ કરી કે ઈન્ડિગો મેનેજમેન્ટ સાથે મળીને બાહ્ય તકનીકી નિષ્ણાતોની નિમણૂક કરશે, જેથી આ સમગ્ર ગડબડીના મૂળ કારણો શોધી શકાય અને ભવિષ્યમાં આવા વિક્ષેપો ફરી ન થાય તેની ખાતરી કરી શકાય.
અવ્યવસ્થાની જવાબદારી સ્વીકારી
ચેરમેન મહેતાએ આ અવ્યવસ્થાની જવાબદારી સ્વીકારતા, જાણી જોઈને સંકટ પેદા કરવાના દાવાને સખત રીતે નકારી કાઢ્યા. તેમણે સ્પષ્ટ કર્યું: "કેટલાક આરોપો એવા છે જે સંપૂર્ણપણે ખોટા છે. એવું કહેવું કે ઈન્ડિગોએ જાણીજોઈને આ સંકટ પેદા કર્યું, કે અમે સરકારી નિયમોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો, અથવા અમે સુરક્ષા સાથે સમાધાન કર્યું – આ તમામ દાવાઓ તથ્યહીન છે. અમે જુલાઈથી નવેમ્બર સુધી પાઇલટોની થાક સંબંધિત અપડેટ કરેલા નિયમો હેઠળ જ કામગીરી કરી હતી અને તેમને ટાળવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો."
કહ્યું - અમે બહાના નથી કરી રહ્યા
મહેતાએ 3 થી 5 ડિસેમ્બર વચ્ચેના દિવસોને એક એવા સમય તરીકે વર્ણવ્યો, જ્યારે અણધારી ઘટનાઓની એક શ્રેણીએ એરલાઈનની સિસ્ટમ પર ભારે દબાણ બનાવ્યું. તેમણે આ માટે નાની તકનીકી ખામીઓ, શિયાળા દરમિયાનના શેડ્યૂલમાં ફેરફાર, પ્રતિકૂળ હવામાન, સમગ્ર એવિએશન નેટવર્કમાં ભીડ અને નવા ક્રૂ રોસ્ટરિંગ ધોરણોને જવાબદાર ગણાવ્યા. તેમણે સ્વીકાર્યું કે આ કોઈ બહાનું નથી, પરંતુ વાસ્તવિકતા છે, અને આ સમગ્ર પ્રકરણને કંપનીના અત્યાર સુધીના બેદાગ રેકોર્ડ પર લાગેલો એક ડાઘ ગણાવ્યો.
જોકે, તેમણે ચેતવણી આપી કે લોકોનો વિશ્વાસ ફરીથી મેળવવામાં સમય લાગશે. મહેતાએ કહ્યું કે, "અમારી કંપનીથી ભૂલ થઈ છે. તેને તમારો વિશ્વાસ ફરીથી જીતવો પડશે. આ શબ્દો પર નહીં, પરંતુ અમારા કાર્યો પર નિર્ભર કરશે."

