અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ્ટતા
Air India Plane Crash TATA Compensation: અમદાવાદમાં 12 જૂનના રોજ લંડન જતી એર ઇન્ડિયાની ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનામાં 242 લોકો સવાર હતા, જેમાંથી માત્ર એક જ મુસાફર બચી શક્યો હતો. વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાતા ત્યાં હાજર અનેક લોકોના પણ મોત થયા છે. આ કરુણ ઘટના બાદ, અગાઉ ટાટા ગ્રુપે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દેરક વ્યક્તિના પરિવારને રૂ. 1 કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. હવે, ટાટા ગ્રુપે સ્પષ્ટતા કરી છે કે દુર્ઘટના સમયે કોલેજ હોસ્ટેલના પરિસરમાં હાજર જે લોકોએ જીવ ગુમાવ્યો છે તે લોકોને પણ રૂ. 1 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે.
દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ મૃતકોના પરિવારને અપાશે સહાય
બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે વિમાન અથડાયું તે દરમિયાન ત્યાં બિલ્ડિંગ પરિસરમાં ઘણા ડોક્ટર, તબીબી વિદ્યાર્થીઓ, હોસ્પિટલ સ્ટાફ અને એરપોર્ટ નજીકના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અનેક લોકો પણ મોતને ભેટ્યા હતા. આથી, ટાટા ગ્રુપે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, "વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સાથે સાથે દુર્ઘટના સમયે કોલેજના હોસ્ટેલ પરિસરમાં રહેલા જે લોકોએ જીવ ગુમાવ્યો છે તે લોકોને પણ વળતર મળશે."
ઘાયલોની તબીબી સારવાર અને હોસ્ટેલના પુનઃનિર્માણનો ખર્ચ પણ ઉઠાવાશે
આ ઉપરાંત, ટાટા ગ્રુપે એક વધુ મહત્ત્વની જાહેરાત કરી છે કે, "અમે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની તબીબી સારવારનો ખર્ચ પણ ઉઠાવીશું, જેથી ઘાયલોને જરૂરી મદદ અને યોગ્ય સંભાળ મળી શકે." એટલું જ નહીં, ટાટા ગ્રુપ ડ્રીમલાઇનર અકસ્માતને કારણે નુકસાન પામેલા બીજે મેડિકલ હોસ્ટેલના પુનઃનિર્માણમાં પણ મદદ કરશે. ટાટા ગ્રુપ દ્વારા જાહેર કરાયેલી રૂ. 1 કરોડની સહાય ઉપરાંત, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને વીમા કંપનીઓ તરફથી પણ નિયમ મુજબ વળતર મળશે.
મહત્વનું છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) - ગુજરાત રાજ્ય શાખા દ્વારા ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખી સહાય માટે વિનંતી કરવામાં આવી હતી. જેથી ટાટા ગૃપે આ બાબતે સ્પષ્ટતા કરી છે. બીજી તરફ IMA ગુજરાતે દુર્ઘટનાનો ભોગ બનેલાના પરિવારજનો માટે કરાયેલા રૂ. 1 કરોડના વળતર અને BJ મેડિકલ કોલેજ હોસ્ટેલના નવીનીકરણ માટે આપવામાં આવેલી સહાય માટે આભાર વ્યક્ત કર્યો હતો.