Get The App

મૂંઝવણ .

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                             . 1 - image

- મારા લગ્ન થયે એક વર્ષ વિતી ગયું છે. પરંતુ આજ સુધી મને પરાકાષ્ઠાનો અનુભવ થયો નથી. 

મારા લગ્ન થયે એક વર્ષ વિતી ગયું છે. પરંતુ આજ સુધી મને પરાકાષ્ઠાનો અનુભવ થયો નથી. મને અને મારા પતિને ઘણી ચિંતા થાય છે. શું મારામાં કોઇ ખામી હશે?

એક યુવતી  (પેટલાદ)

* તમારા જેવી સમસ્યા ઘણી યુવતીઓને સતાવે છે. આનો આધાર સેક્સ્યુઅલ ટેકનિક પર રહેલો છે. સમાગમ પૂર્વે લવ પ્લે કે ઓરલ સેક્સ ઉત્તેજના ઉત્પન્ન કરનાર અંગોનું હળવાશથી મર્દન કરવાથી સમાગમની ઉત્તેજના જાગૃત થશે અને પરાકાષ્ઠાનો અનુભવ થશે. આમાં ઉતાવળેથી નહીં પરંતુ ધીરજથી કામ લેવાની જરૂર છે.

મારી વય ૨૪ વર્ષની છે. મારા લગ્ન થયે એક વર્ષ વીતી ગયું છે. લગ્ન પછી હું ગર્ભ નિયોજનની ગોળીઓ લઉં છું. હમણા કેટલાક સમયથી સંભોગ બાદ મને પીઠના નીચેના ભાગમાં દુ:ખાવો થાય છે. કેટલીકવાર આ દુ:ખાવો એક બાજુથી બીજી બાજુ ફરતો હોય તેવું લાગે છે. આ દુ:ખાવો દૂર કરવા શું કરવું?

એક યુવતી  (અમદાવાદ)

* સ્નાયુના ફાઇબર્સ સ્ટ્રેચ થવાને કારણે કદાચ આ દુ:ખાવો થઇ શકે છે. શરીર પર વધુ પડતું વજન આવવાને કારણે પણ આમ થઇ શકે છે. ગરમ પાણીથી સ્નાન તેમજ મસાજ કે ફિઝિયોથેરપી ઉપયોગી થઇ પડશે, પરંતુ આ માટે તમારે કોઇ કુશળ ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.

હું સપ્તાહમાં ત્રણવાર સ્વિમિંગ કરું છું. પરંતુ મને સ્વિમિંગ ગ્લાસીસ પહેરવાની આદત નથી શું પાણીનું ક્લોરિન મારી આંખોને નુકસાન કરી શકે છે?

એક યુવાન  (મુંબઇ)

* સ્વિમિંગ પુલમાં ચશ્મા પહેરવા જરૂરી છે. આને કારણે પાણીમાંની અશુધ્ધિઓથી આંખને નુકસાન થતું અટકે છે. ક્લોરિનને કારણે આંખો લાલ થાય છે, ખંજવાળ આવે છે અથવા દુ:ખાવો થાય છે.

મારી ઉંમર ૧૬ વર્ષની છે. છેલ્લા કેટલાક વખતથી મારું માસિક અનિયમિત થઇ ગયું છે. હાલમાં તો મને ૧૫-૧૫ દિવસે માસિક આવે છે. આને કારણે મને નબળાઇ પણ ઘણી લાગે છે. તેમ જ માથુ પણ દુ:ખે છે. યોગ્ય ઉપચાર જણાવવા વિનંતી.

એક કન્યા (વડોદરા)

આને લીધે તમને એનિમિયા (રક્તની ઉણપ) થઇ શકે છે. માસિક ધર્મને કારણે શરીરમાંથી બહાર ફેંકાયેલા રક્તની જગ્યાએ અમુક પ્રમાણમાં નવું રક્ત બની જાય છે. પરંતુ વધુ પડતું રક્ત વહી જવાને કારણે રક્તની ઉણપ સર્જાય છે. આને કારણે ફિક્કાશ આવી જાય છે તેમ જ નબળાઇ પણ આવી શકે છે. તમારે તાબડતોબ ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.

મારી ઉંમર ૩૫ વર્ષની છે. છેલ્લા એકાદ-બે વર્ષથી મને કાનમાં ખૂબ જ ખંજવાળ આવે છે. મેં ઇએનટી નિષ્ણાતને પણ મારો કાન દેખાડયો હતો. તેણે મારા કાનમાં કોઇ પણ પ્રકારની ખામી ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ મારી આ તકલીફ દૂર થઇ નથી. હું મારા કાન સ્વચ્છ રાખું છું. કાનમાં મેલ પણ જમા થતો નથી. આનું કારણ શું હોઇ શકે છે?

એક સ્ત્રી (જામનગર)

* તમે કાનમાં આવતી ખંજવાળને કારણે પીન કે ઇઅર બડ વાપરો છો? આ આદત ખૂબ જ ખોટી છે. પરંતુ આજકાલ આ ફૅશન જ બની ગઇ છે. કાનમાં જ કુદરતે એવી કરામત મૂકી છે કે આપોઆપ જ કાનનો મેલ દૂર થઇ જાય છે. આથી કાન કોતરવાની કોઇ પણ જરૂર નથી. ખોડાને કારણે પણ કાનમાં ખંજવાળ આવી શકે છે. કાનમાં આવતી ખંજવાળ દૂર કરવા ક્યારેક ક્યારેક સ્ટેરોઇડ ઓઇન્ટમેન્ટ વાપરી શકાય છે. પરંતુ આ માટે ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

મારી ઉંમર ૨૪ વર્ષની છે. આ ઉંમરમાં જ મને ટાલની સમસ્યા સતાવે છે. આ માટે મેં નિષ્ણાતની સલાહ લીધી હતી અને તેમણે લખી આપેલી દવાઓ નિયમિત લઉં છું. પરંતુ કોઇ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવાન (મુંબઇ)

* તમે મિનોક્સિડીલ (મિનટોપ) લેતા હો તો તેની અસર ચાર મહિના પછી જણાય છે. દવા બંધ કરતા જ વાળ વધવાની પ્રક્રિયા બંધ થઇ જાય છે. ૨ ટકા મિનોક્સિડીલ ધરાવતા તેલથી માલિશ કરવામાં આવતા નપુંસકતા થવાની શક્યતા નથી. તમે હેરવિવિંગ ટેકનિક અપનાવી શકો છો.

મારી ઉંમર ૧૭ વર્ષની છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મને હસ્તમૈથુનની આદત પડી ગઇ છે. શું આને કારણે પાછળથી મારી સેક્સ લાઇફ પર અસર પડી શકે છે? શું મારામાં શારીરિક કે માનસિક નબળાઇ આવી શકે છે?

એક તરુણ (વેરાવળ)

* હસ્તમૈથુનને કારણે શારીરિક કે માનસિક નબળાઇ આવે છે એ વાત ગલત છે. આપણે કંઇક ખોટું કરી રહ્યા છીએ એવી ભાવના ઘર કરી જાય છે જેને કારણે વ્યક્તિ વ્યથિત રહી શકે છે.

મારી ઉંમર ૨૦ વર્ષની છે. ૨૦ વર્ષથી હસ્તમૈથુન કરવાની મને આદત છે. હસ્તમૈથુન પછી મને શિશ્ન તેમજ ટેસ્ટિકલમાં દુ:ખાવો થાય છે, પરંતુ આનું કારણ શું હોઇ શકે છે?

એક યુવાન (મહેમદાવાદ)

* હસ્તમૈથુન બાદ દુ:ખાવો થવો એ વાત સામાન્ય છે. વધુ પડતા હસ્તમૈથુનને કારણે આ સમસ્યા ઉદ્ભવી શકે છે. આ ઉપરાંત કદાચ પ્રોસ્ટેટ અથવા વીર્યગ્રંથિમાં ઇન્ફેક્શન હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

મારી ઉંમર ૧૮ વર્ષની છે. છેલ્લા કેટલાક વખતથી ઝીણા ઝીણા ચેક્સ જોવાથી મારી નજર ધૂંધળી પડી જાય છે અને કપડા પરના ચેક્સ ઉડતા હોય તેવું લાગે છે. મને ખૂબ જ ચિંતા થાય છે. શું મારી આંખો તપાસવાની જરૂર છે?

એક બહેન  (મુંબઇ)

* તમારે સત્વરે તમારી આંખોની તપાસ કોઇ નિષ્ણાત ડૉક્ટર પાસે કરાવવાની જરૂર છે.

- અનિતા