- કોમોડિટી કરંટ
- ભૂતકાળમાં મુક્ત બજાર વ્યવસ્થાથી દેશને નુક્સાન થયું હતું
યુરોપીય સંઘ સાથે થયેલ દ્વિપક્ષીય કરાર દરમ્યાન કૃષિ ક્ષેત્રને બાકાત રાખવામાં આવેલ હોવાને કારણે કોઈ વિવાદ છેડાયો નહોતો. પરંતુ અમેરિકા સાથે તાજેતરમાં થયેલ કરારમાં અનેક કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થતાં કરાર બાદ સંસદથી માંડીને દેશભરમાં ચર્ચાનો વિષય બની સમગ્ર મુદ્દે ભારે રાજકારણ ખેલાઈ રહ્યું છે.
જોકે ચોખા, ઘઉં, ડેરી ઉત્પાદનો, પોલ્ટ્રી તથા જી.એમ.શ્રેણીમાં આવતી મકાઈ, સોયાબીનના મામલે ભારતે અમેરિકાને કોઈ રાહત નહિ આપી હોવાનો સરકારે દાવો કરેલ છે. તેમ છતાં સોયાબીન તેલ, જવાર, તાજા ફળો, સુકો મેવો જેવી વસ્તુઓ નિકાસ કરવામાં અમેરિકાને લીલી ઝંડી આપવામાં આવી હોવાના અહેવાલો છે. અમેરિકાએ ભારતીય ચીજોની આયાત ઉપર ૧૮ ટકા ટેક્ષ લાદેલ હોવા સામે ભારતમાં આયાત થનાર અમેરિકન કેટલીય ચીજો ઉપર શૂન્ય ટકા ટેક્ષ લાદતાં સમગ્ર મામલો પેચીદો બની ગયો છે.
નેવુના દશકામાં તત્કાલીન સરકારે જ્યારે મુક્ત બજાર વ્યવસ્થા લાગુ કરીને ખાદ્યતેલોની આયાતને બંધન મુક્ત કરવામાં આવી ત્યારે મામુલી ઘટના લાગતી હતી પરંતુ ત્યારબાદ તેના ભયાનક પરિણામો એવા આવ્યા કે આજદિન સુધી સમગ્ર મામલો માથાનો દુ:ખાવો બની રહ્યો છે. જેના પરિણામે ભારત ખાદ્ય તેલોની આયાતમાં પ્રથમ નંબરે આવી ગયું છે. વર્ષે દહાડે ૧૬૦ થઈ ૧૬૫ લાખ ટન ખાદ્ય તેલો આયાત કરવા પડી રહ્યા છે. અને અબજો રૂપિયાનો ખર્ચ ભારત આજે ભોગવી રહ્યું છે. ખાદ્યતેલો તથા દાળોમાં પણ આયાતનો બોજો સરકારને ચિંતાનો વિષય બની રહ્યો છે. ખાદ્યતેલો અને દાળોમાં સ્વનિર્ભર બનવા માટે સરકારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી બંનેનું ઉત્પાદન વધારવા એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે ફરીથી અમેરિકા સાથે વેપાર સંધિમાં કૃષિ ક્ષેત્રને સામેલ કરી મુક્ત વેપાર હેઠળ કૃષિ પેદાશો ભારતમાં ઠલવાશે તો સ્થાનિક ખેડૂતોને પૌષણક્ષમ આવક ઉભી કરવાના સરકારના અભિયાનને પણ ફટકો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.
બીજી તરફ અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં થયેલી વેપાર સમજૂતીઓમાં અમેરિકાએ પોતાનો કપાસ બાંગ્લાદેશમાં નિકાસ કરવા માટે રાહતો આપતાં બંને દેશો વચ્ચેનો કારોબાર વધશે તેવી અપેક્ષા છે પરંતુ તેની નેગેટીવ અસર ભારત ઉપર વર્તાય તેવી આશંકા છે. મોટાભાગે બાંગ્લાદેશનો ટેક્ષટાઈલ ઉદ્યોગ ભારતીય કપાસ સસ્તો પડતો હોવાથી મોટા પ્રમાણમાં ખરીદ કારોબાર થાય છે. હવે અમેરિકા સાથે કપાસ ટ્રેડ ડિલને કારણે ભારતીય કપાસ કારોબાર ઘટશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત અમેરિકન કપાસથી તૈયાર કરેલા કપડાંની આયાત ઉપર અમેરિકાએ ડયુટી મુક્તની રાહત આપતાં બાંગ્લાદેશને અમેરિકાનું મોટું બજાર મળે તેમ છે.
જે બાંગ્લાદેશ ટેક્ષટાઈલ ઉદ્યોગને પ્લસ પોઈન્ટ સાબિત થાય તેમ છે. જોકે ભારતીય કપાસ માલ બાંગ્લાદેશ માત્ર અઠવાડિયામાં પહોંચી શકે છે. જ્યારે અમેરિકન કપાસની ખેપ બાંગ્લાદેશ પહોંચતાં દોઢથી બે માસનો સમય થતો હોય છે. જોકે અમેરિકાની લોભાણમી વાતોને કારણે ભારતીય કપાસ કારોબારને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે.
દરમ્યાન અમેરિકા સામેના ટ્રેડ ડિલ અંતર્ગત ભારતીય મસાલાના કારોબાર સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવે છે કે ભારતીય મસાલાની નિકાસ માટે અમેરિકા ટોપ ફાઈવ કન્ટ્રીમાં આવે છે. હવે ટેરિફ દરો ઓછા થતાં મસાલા નિકાસને ફાયદો થવાનો દાવો થઈ રહ્યો છે. આજકાલ અમેરિકામાં પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક અને ક્લીન લેબલ મસાલા ચીજોની માંગ સતત વધી રહી છે. ઉંચા ટેરિફ દરોને કારણે નવેમ્બર-૨૦૨૫ દરમ્યાન અમેરિકામાં ભારતીય મસાલાની નિકાસમાં લગભગ પંદરેક ટકાનો ઘટાડો નોંધાયો હોવાના અહેવાલો છે. જોકે હવે કરાર બાદ મસાલા કારોબારને ફાયદો થવાની ગણત્રી છે.


