કોમ્પ્યુટર પર આવતા તમામ મેસેજો ખોલવા જરૂરી નથી હોતા. આ બાબતે વારંવારની ચેતવણી છતાં લોકો ડેટીંગના કે ઘેર બેસીને કામ કરવાની લાલચ બતાવતા મેસેજમાં ફસાય છે. ડેટીંગ સાઇટ પર બેદરકારી રાખનારા ક્યારેક સામાવાળા પાત્રને રૂબરૂ મળવાનો પ્રયાસ કરે છે અને પછી તે હની ટ્રેપમાં ફસાય છે. જ્યારે તેને ખ્યાલ આવે છે કે તે બ્લેકમેલીંગનો ભોગ બન્યો છે ત્યારે તેમાંથી છૂટવાના ફાંફા મારે છે. ડેટીંગ સાઇટ પર સામે છેડે વાત કરતી લેડી પોતે મધ્યમ વર્ગની બતાવીને જીંદગીએ તેમની સાથે કેવી રમત રમી છે એમ કહીને દયામણી વાતો કરીને લાગણી જીતવા પ્રયાસ કરે છે. આવી વાતોમાં અનેક લોકોને ફસાવાય છે. લાલચુ લોકો આવી વાતોમાં ફસાય છે અને ઓનલાઇન બ્લેકમેલીંગનો શિકાર બને છે.
અયોધ્યામાં છેલ્લા પાંચ માસમાં પાંચ કરોડ પ્રવાસી
કોઇ પણ ઘાર્મિક સ્થળ તે વિસ્તારને આર્થિક રીતે સધ્ધર બનાવતું હોય છે. જ્યાં લાખો લોકો આવતા હોય તે સ્થળે નાના ખૂંમચાવાળાથી માંડીને મોટી હોટલો સુધીના ભરચક કમાણી કરતા થઇ જાય છે. અયોધ્યાની વાત કરીયે તો ત્યાં છેલ્લા પાંચ મહિનામાં પાંચ કરોડ લોકો દર્શને આવ્યા છે. દર્શને આવનારા પૈકી દરેક પોતાના ઘર માટે પ્રસાદ લઇ જાય, મંદીરમાં દર્શન માટે જાય ત્યારે ફૂલો ખરીદે, ચા-નાસ્તો કરે, રાત્રે રોકાણ કરવું હોય તો સારી હોટલ શોધે વગેરે સ્થાનિક લોકો માટે કમાણીના સાધન બની જાય છે.
જ્યાં ગામની વસ્તી કરતા ત્રણ ગણા વધુ પ્રવાસીઓ આવતી હોય તે ગામની સમૃધ્ધિ માત્ર છ મહિનામાંજ ટોપ પર પહાંચી જાય છે. અયોધ્યામાં કેટલીક દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહે છે.

દક્ષિણ ભારતની હવામાં પ્રદૂષણ ઓછું હોય છે
દિલ્હીની હવાના પ્રદૂષણની સમસ્યા પડકારનો વિષય બની છે. હવાના પ્રદૂષણથી અનેક શહેરો પીડાઇ રહ્યા છે. અમદાવાદ, લખનૌ જેવા અનેક શહેરોની પ્રદૂષણ બાબતે ફરિયાદ છે. અહીં મહત્વનું એ છેકે દક્ષિણના શહેરોમાં પ્રદૂષણની સમસ્યા ઓછી છે. જાણકારો કહે છે કે ઉત્તરભારતની ફરતે પર્વતો આવેલા છે જેના કારણે હવાને પ્રસરવાનો અવકાશ મળતો નથી જ્યારે દક્ષિણના શહેરો નજીક દરિયા કિનારો હોઇ હવા દુર સુધી વિસ્તરી શકે છે. એકવાર હવા ધટ્ટ થયા પછી તેને વિસ્તરવાની જગ્યાનો અભાવ વાતાવરણને વધુ દૂષિત બનાવે છે. દિલ્હી આવીજ સ્થિતિનો શિકાર બન્યું છે.


