ભરૂચ નર્મદા નદીનાં તોફાની પાણીએ ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી વટાવી
-નદીનાં પાણી ૨૬ ફૂટે વહેતા કાંઠા વિસ્તારનાં 13 ગામોનાં લોકો એલર્ટ
અંક્લેશ્વર તા.27 ઓગષ્ટ 2019 મંગળવાર
નર્મદા જિલ્લાનાં કેવડીયા ખાતેનાં સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા ભરૃચ નર્મદા નદીમાં નવા નીરની આવક ચાલુ રહેતા ગોલ્ડન બ્રિજની સપાટી ૨૬ ફૂટે પહોંચી હતી.જેના કારણે અંકલેશ્વરનાં નદી કિનારે વસેલા ૧૩ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
સોમવારનાં રોજ બપોરે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૩.૮૮ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી.મધ્યપ્રદેશ ઓમકારેશ્વર ડેમ માંથી ૪ લાખ ક્યુસેક પાણી છોડાતા સતત પાણીની આવક વધતા સોમવારે સાંજે નર્મદા ડેમના ૨૩ ગેટને ૨.૫ મીટર ખોલી નર્મદા નદીમાં ૩,૯૫,૯૬૪ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતુ.
મંગળવારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતહાસિક લેવલે પહોંચી હતી.જળ સપાટી ૧૩૩.૮૪ મીટરે પહોંચતા ડેમના ૧૫ દરવાજા ૩.૭૦ મીટર ખુલ્લા રાખી નર્મદા નદીમાં ૪,૬૦,૫૯૮ ક્યુસેક પાણી છોડાયું હતુ. ઉપરવાસ માંથી હજુ પણ ૫,૫૨,૩૧૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવકને પગલે ડેમ માંથી ૫,૫૨,૩૧૫ ક્યુસેક પાણી છોડાતા એની સીધી અસર નર્મદા નદીનાં કિનારે વસેલા ગામોને વર્તાય હતી. ભરૃચનાં ગોલ્ડન બ્રિજે નર્મદા ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવી ૨૫ મીટરે પહોંચી હતી. નર્મદા નદીમાં છોડાતા પાણીને કારણે ભરૃચ ગોલ્ડન બ્રિજની સપાટી સતત વધી રહી છે. જેને પગલે નર્મદા નદી કાંઠાનાં અંકલેશ્વર તાલુકાનાં ૧૩ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા હતા.
અંકલેશ્વર પંથકમાં સોમવાર થી પુનઃ એકવાર વરસાદી માહોલ જામ્યો છે . વરસાદી હેલી વચ્ચે જનજીવન ધબકતુ રહ્યુ હતુ.