ગોવાલી ગામની 200 એકરથી વધુ જમીન નર્મદાના પૂરના પાણી વળ્યા
ઝઘડિયા તા.14 ઓગષ્ટ 2019 બુધવાર
નર્મદામાં પાણી ઓસર્યા બાદ પણ ઝઘડિયાના ગોવાલી ગામની 200 એકરથી વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ જવાથી પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યુ છે. નેશનલ હાઈવેના વિસ્તૃતીકરણ બાદ સીમમાં આવતા નર્મદાના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે.
ઝઘડિયા તાલુકાની ગોવાલી ગ્રામ પંચાયતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્રમાં જણાવ્યું છે કે નેશનલ હાઈવેનું વિસ્તૃતીકરણ થયું છે ત્યારથી ગોવાલી ગામની ટોલટેક્સ નજીક આવેલી 200 એકરથી વધુ જમીનમાં નર્મદાના પાણી ફરી વળે છે.આ પહેલા નર્મદામાં આવતા પૂર અને ડેમમાંથી આવતા પાણી એકાદ બે દિવસમાં કુદરતી રીતે નીકળી જતા હતા પરંતુ હાઈવેની કામગીરી બાદ અને ટોલટેક્સ વિસ્તારમાં બાંધકામનું લેવલ ઉંચુ થયા બાદ પાણીનો નિકાલ થતો નથી. પાણીના નિકાલ માટે નાળાઓના બાંધકામ પ્રત્યો તકેદારી ન રખતાં ખેતીની જમીન પર પાણી ફરી વળતાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નેશનલ હાઈવેના ટોલટેક્સની પૂર્વ બાજુએ ખેડૂતોને ગંભીર સમસ્યા ઉદ્દભવેલ છે, નેશનલ હાઇવે દ્વારા ટોલટેક્સ બાંધકામમાં કાળજી ન લેવતાં માટી પુરાણ, પથ્થરોની દીવાલ બનાવી દેતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
સરદાર સરોવર ડેમની કામગીરી અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરી ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના લોકો માટે અભિશાપરૃપ બની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિયર ડેમની કામગીરીમાં ખુબ વિલંબ કરાઈ રહ્યો છે બીજી તરફ ઉનાળામાં નર્મદામાં દરિયાના પાણી ફરી વળતાં ઝઘડિયા તાલુકાના નર્મદાના કાંઠા વિસ્તારમાં ક્ષારનું પ્રમાણ પણ ખૂબ વધી જાય છે. ડાઉન સ્ટ્રીટમાં ડેમ પરથી પાણી આપવાની જરૃર હતી ત્યાંરે પાણી ન છોડાતાં ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો હતો અને નર્મદામાં પાણીની વિપુલ આવક થતા ડેમમાંથી ડાઉન સ્ટ્રીટમાં પાણી છોડતા કાંઠા વિસ્તારની બધા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. હાલમાં નર્મદામાં પાણી ઓસળી ગયા છે છતાં ખેતરોમાંથી પાણી નીકળ્યા નથી.
ગામની 200 એકર ઉપરાંતની જમીનમાં ઉભા પાકને થયું છે. ખેડૂતોનો કેળનો પાક નાશ પામ્યો છે. ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચી શકતો નથી તંત્રની પાયા વિનાની કામગીરી સામે લાચાર બન્યો છે. પાણી નિકાલનો કોઈ વિકલ્પ નહિ હોઈ સત્વરે ખેતરોમાં થી પાણી નીકળે તેવા પગલાં ભરવાગ્રામ પંચાયતે આવેદનમાં રજૂઆત કરી હતી.