અંકલેશ્વરથી 8 માસના બાળકને લઈને 1200 કિમી દૂર UPના બરેલી જવા સાયકલ પર નિકળ્યું દંપતી
અંક્લેશ્વર , તા.02 મે 2020, શનિવાર
લોકડાઉન દરમ્યાન સુરત ખાતે રોજીરોટી અર્થે વસવાટ કરતા પરપ્રાંતીઓ પાસે કોઈ કામધંધો કે રોજગાર ન રહેતા હવે તેમની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે. કેટલાક લોકોએ તો પરિવાર સાથે પગપાળા અથવા તો સાઇકલ પર વતન તરફની વાટ પકડી છે.
લોકડાઉનમાં રોજગારી ન રહેતાં નાસીપાસ થઈ ગયેલું ઉત્તરપ્રદેશનું એક દંપતી સુરતથી અંદાજે ૧૨૦૦ કિલો મીટર દૂર પોતાના વતનમાં જવા માટે સાઇકલ પર સવાર થઈને નીકળી પડયા છે.
ઉતરપ્રદેશના અમર પાલ પોતાની પત્ની સાથે ગુજરાતના અંકલેશ્વરમાં રોજીરોટી કમાવવા આવ્યો હતો. બધુ બરાબર ચાલી રહ્યું હતું પણ લોકડાઉનના કારણે અમરપાલ જેવા અનેક પરપ્રાંતીયોની જીવન દશા બદલી નાંખી. લોકડાઉનમાં પહેલા ૧૦ દિવસ તો કાઢી નાંખ્યા પરંતું ત્યાર બાદના દિવસો એક પછી એક કપરા થતા ગયા. ક્યારેક ક્યારેક તો ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા.
જેથી અન્ય પરપ્રાંતીયોની જેમ અમરપાલ અને પત્નીએ પોતાના વતનમાં જવાનો નિર્ણય કરી લીધો હતો. વતનમાં જવા માટે રૂપિયાની સગવડ નહી હોવાથી દંપતીએ પોતાના આઠ માસના બાળકને લઈને સાયકલ પર નીકળી પડયા હતા.
૧૨૦૦ કિમી દૂર વતનમાં ક્યારે પહોંચાશે તે તો નક્કી ન હતું.અહીં તેમની હાલત કેટલી ગંભીર હશે એ આઠ માસના નાનકડા બાળક સાથે વતન જવા માટેનો કઠોર નિર્ણય એ બતાવે છે.
પતિ- પત્ની બંને અલગ અલગ સાઇકલ પર યુપીના બરેલી પોતાના વતન જવા માટે નીકળ્યા છે , જયારે આ દંપતી ધામરોડ ચેક પોસ્ટ ખાતે પહોંચતા ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્ય ચક્તિ થઇ ગયુ હતુ , કારણ કે સાઇકલનાં પાછળનાં કેરિયર પર આઠ મહિનાનું બાળકનું ઘોડીયુ બાંધેલુ હતુ , અને આ પરિસ્થિતિ જોતા ઉપસ્થિત પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.
અમર પાલ સાથે તેના અન્ય ત્રણ મિત્રો પણ જરૂરી પરવાનગી લઈને સાઇકલ પર સવાર થઈને ઉત્તર પ્રદેશ જવા નીકળ્યા છે.
બે ટંકનો રોટલો ન મળે એ મુલકમાં રહેવાનો અર્થ શું ?
અમર પાલે જણાવ્યુ હતુ કે રોજગારી ચાલુ હોત તો જવાની ઈચ્છા ક્યાંથી થાય પણ બે ટંકના રોટલા માટે વતન છોડીને આવ્યો છે જો તે પણ ન મળે તો તે મુલકમાં રહેવાનો મતલબ શું છે..! હું અને મારી પતિ અલગ અલગ સાઇકલ પર સવાર થઈને સુરતથી બરેલી , ઉત્તર પ્રદેશ જવા માટે નીકળ્યા છે , અને મારા આંઠ માસનાં બાળક માટે સાઇકલ પર ઘોડીયુ બાંધ્યુ છે, રોજ જેટલા વધારે કિલોમીટર સાયકલ પર કપાય એટલા કાપીને વતનમાં પહોંચવુ છે, લોકડાઉનમાં કોઈ નોકરી ધંધો ન રહેતા સુરતમાં મકાન માલિક પણ ભાડા માટે હેરાન કરતો હતો ન તો બે ટંક જમવાનું પણ પૂરું ન થતુ હતુ એટલે હવે આ સાહસ ખેડવા સિવાય બીજો કોઈ જ રસ્તો નહોવાનું તેઓએ ભારે હૈયે જણાવ્યુ હતુ.