વડોદરા રેલવે સ્ટેશન પર 30 જૂને સિગ્નલિંગ સિસ્ટમ થશે અપગ્રેડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railways : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનની સંચાલન ક્ષમતા વધારવા અને મુસાફરોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે યાર્ડ રિમોડેલિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરીની સમીક્ષા કરવા માટે મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ અધિકારીઓ અને રેલવે ઇજનેરો સાથે વડોદરા સ્ટેશન યાર્ડની મુલાકાત લીધી હતી.
રાજુ ભડકેએ જણાવ્યું હતું કે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી પૂર્વેની તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવામાં આવી રહી છે અને 30 જૂનના રોજ નોન-ઇન્ટરલોકિંગનું કામ હાથ ધરાશે. ત્યારબાદ વડોદરા રેલવે સ્ટેશનની સિગ્નલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે.
હાલ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ નંબર-4 અને 5ની લંબાઈ વધારવાની કામગીરી ચાલી રહી છે. પ્લેટફોર્મ નંબર-4ની લંબાઈ હાલ 498 મીટર છે, જેને વધારીને 592 મીટર કરવામાં આવશે. જ્યારે પ્લેટફોર્મ નંબર-5ની લંબાઈ 498 મીટરથી વધારીને 568 મીટર કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આ બંને પ્લેટફોર્મ પરથી 22 કોચ ધરાવતી લાંબી ટ્રેનોનું સંચાલન શક્ય બનશે.
આ કામગીરી માટે ટર્નઆઉટ, સિગ્નલ અને ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયરનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલ પ્લેટફોર્મ નંબર-5 અને 6 પરથી ટ્રેન સંચાલન અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યું છે.









