ધાનેરાઃ શ્રાવણ માસમાં કતલખાના બંધ કરાવવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર
- વાઈરસજન્ય રોગચાળાની આશંકાને લઈ મામલતદાર તથા ચીફ ઓફિસરને રજૂઆત કરી
ધાનેરા, તા.28
હિન્દુઓના પવિત્ર તહેવાર તરીકે શ્રાવણ માસ આસ્થા ભર્યો રહે છે. આ માસમાં ખાસ કરીને શિવજીની ઉપાસના કરી ભગવાન ભોળાને રીઝવવા ભક્તો અથાગ પ્રયત્નો કરે છે. ઉપરાંત વિવિધ ધાર્મિક પૂજા-અર્ચના તેમજ દેવતાઓની આરાધના થાય છે. જેથી હિન્દુઓના ધાર્મિક તહેવારમાં કોઈ પશુના કતલ ના થાય તેમજ રોગચાળો ના ફેલાય તે હિતને લઈ ધાનેરામાં ચાલતા કતલખાના બંધ કરાવવા વિવિધ હિન્દુ સંગઠનો એક સાથે મળી મામલતદાર તેમજ ચીફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું હતું.
ધાનેરાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ તથા હિન્દુ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા શ્રાવણ માસમાં ચાલતા કતલખાના પશુવધુ બંધ કરાવવા આવેલા પત્ર આપ્યું હતું. વધુમાં જણાવેલ કે પશુઓમાં લંપી તેમજ મંકીપોકસ નામનો ભયંકર રોગચાળો ચાલતો હોય ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓમાં આવા રોગના લક્ષણો વાળા પશુઓનો વધ થાય તો ગુજરાત ભરમાં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા હોઈ કતલખાના બંધ કરવા વિનંતી કરવામાં આવી હતી.