Updated: Sep 8th, 2022
- છ દિવસીય મેળા દરમ્યાન જુનાબસ સ્ટેન્ડથી ભૈરવ મંદિર સુધી સ્ટ્રીટ લાઈટનો અભાવ
- વિવિધ વિસ્તારોમા રાત્રે વીજળીના અભાવે શ્રદ્ધાળુંમાં કચવાટ
અંબાજી,તા.8 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને લઈ શક્તિદ્રાર થી મંદિર સુધી ઝગમગતી રોશનીથી શણગારમાં આવ્યું છે જેને લઈ મેળો દિપી ઉઠ્યો છે જયારે જુના બસસ્ટેન્ડથી ભૈરવ મંદિર સહિત માર્ગો પર કોઈ રોશની કરવામાં ના આવતા અને અહીં સ્ટ્રીટ લાઈટોનો પણ અભાવ હોય રાત્રી દરમ્યાન પદયાત્રીઓ ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે
અંબાજીના જગ વિખ્યાત ભાદરવી પૂનમના છ દિવસીય મહામેળાને શાનદાર બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા સઘન પ્રયાસો કરાઈ રહ્યા છે પરંતુ ગ્રામ પંચાયત તંત્રની નિષ્ક્રિયતાના કારણે પદયાત્રીઓ સહિત ગ્રામજનોને મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે અંબાજીમાં યાત્રીઓના સ્વાગત માટે મંદિર સુધી રોશની, સફાઈ સહિતની સુંદર કામગીરી કરાઈ છે જ્યારે અંબાજીના રાજમાર્ગોને બાદ કરતા ગ્રામ વિસ્તારમાં રોશની લગાવવામાં ના આવતા રાત્રીના સમયે યાત્રીઓને અંધારા ને લઈ હાડમારી વેઠવી પડે છે તેમજ ઠેરઠેર ઉભરાતી ગટરોને લઈ લોકોને મેળા દરમ્યાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.