For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાદરવી પૂનમનો મહામેળોઃ અનંત ચૌદશના દિવસે અંબાજીમાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા

Updated: Sep 9th, 2022


Article Content Image

- શ્રધ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલી લાલ ધજાઓ માતાજીના સુવર્ણ મંદિર પર લહેરાઈ ઉઠી

અંબાજી, તા. 09 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

માતા શક્તિના હૃદય સ્થાન સમાં યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના છ દિવસીય મહામેળાના પાંચમા દિવસની અનંત ચૌદશે અંબાજીમાં શ્રધાનો સાગર ઉમટી પડ્યો હતો. અનંત ચૌદશના દિવસે લાખો શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડતા મંદિરનો ગર્ભગૃહ માઇભક્તોના ગગનભેદી જયઘોષ સાથે ગુંજી ઉઠ્યો હતો. અનેક માઈભક્તોએ હંસ પર સવાર માં જગદંબાના દર્શનનો લ્હાવો લીધો હતો અને નવદુર્ગાને નવલા નોરતામા પધારવા રૂડુ આમંત્રણ પાઠવ્યું હતું. દુરદુરથી આવેલા અનેક સંઘોએ લાવેલ લાલ ધજાઓ માતાજીના સુવર્ણ શિખર પર ચડાવવામાં આવી હતી. સમગ્ર અંબાજી શહેર 'બોલ માંડી અંબે જયજય અંબે'ના નાદ થી ગુંજી રહ્યું હતું.

આ પણ વાંચોઃ ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં શક્તિદ્રારથી મંદિર સુધી રોશનીનો ઝગમગાટ

ભક્તોએ આંખે પાટા બાંધી તેમજ દંડવત પ્રણામ કરી, વ્હીલચૈરમાં બેસીને માતાજીની માનતાઓ પૂર્ણ કરી

ગુજરાતનું એક માત્ર સુવર્ણ મંદિર ધરાવતા આરાસુર ધામમા માં અંબાના જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે યોજાઈ રહ્યો છે. માં શક્તિની ભક્તિના અનેરા સંગમમાં માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યો માંથી લાખો માઈભક્તો કઠીન પદયાત્રા કરી માં અંબાના ધામ આરાસુરમાં ઉમટી પડયા હતા. આથી અનંત ચૌદશે અંબાજી ધામ શ્રદ્ધાળુઓથી છલકાય ઉઠ્યું હતું. સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને અંબાજી પહોંચેલા માઇભક્તોએ અદમ્ય ઉત્સાહ સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જોકે ભાદરવી પૂનમનો મેળો અંતિમ ચરણમાં હોઈ અનંતચૌદશે અનેક ભક્તોએ આંખે પાટા બાંધીને તેમજ દંડવત પ્રણામ કરી માતાજીના ગર્ભ ગૃહમાં 'જય અંબે'ના નાદ સાથે પોતાની માનતા આખડીઓ પૂર્ણ કરી હતી. અનેક સંઘો, માંડવીઓના માઇ ભક્તો દ્વારા માતાજીને નવરાત્રી માં પોતાની માંડવીઓ પર પધારવા માટેનું માં ને રૂડું આમંત્રણ આપવામાં આવ્યું હતું

Article Content Image

મંદિરમા પ્રવેશતા જ અલગ પ્રકારની શક્તિનો સંચાર થાય છે

સુરતથી પદયાત્રા કરીને આવેલ નવીનભાઈએ જણાવ્યું હતું કે, યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ એક અલગ જ પ્રકારની શક્તિનો સંચાર થાય છે અને શરીરમાંથી થાક દૂર થવાની સાથે નવી સ્ફુર્તિનો સંચાર થઈ રહ્યો છે.

આજે છ દિવસીય મહામેળાની પુર્ણાહુતી

અંબાજીમાં 5 સપ્ટેબર 2022થી ભાદરવી પૂનમના છ દિવસીય મહામેળા નો રંગેચંગે પ્રારંભ કરાયો હતો. આ મેળામાં લાખો પદયાત્રીઓ તેમજ સેંકડો શ્રધ્ધાળુઓએ માતાજીના અવસરમાં ઉમટી પડીને જગદંબાના દર્શન કર્યા હતા. કાલે 10 સપ્ટેબરને શનિવારના રોજ આ મહામેળાની પૂર્ણાહુતિ કરાશે.

એસટી સ્ટેન્ડો પર યાત્રીઓની કતારો જામી

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મોટાભાગના લોકો પગપાળા આવતા હોય છે. આ યાત્રીઓને પરત પોતાના ગામ જવા એસટી બસનો સહારો લેવો પડતો હોય છે. ભાદરવી પૂનમના મેળામા અંબાજી ખાતે ત્રણ જગ્યાએ એસટી સ્ટેન્ડ શરૂ કરાયા છે. ત્યાં બસ મારફતે પરત ફરતા લોકોની બસો પકડવા માટે લાંબી કતારો જામેલી જોવા મળી હતી. 

લીંબુ સરબત ની સેવા 

મંદિર પરિસરમાં આવતા યાત્રિકોને મંદિર ટ્રસ્ટ તરફથી લીંબુ સરબત આપવામાં આવતો હતો. જેથી મંદિર માં આવતા યાત્રિકોનો થાક દૂર થતો જોવા મળ્યો હતો. યાત્રિકોએ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ વ્યવ્સ્થાઓ માટે તેની સરાહના કરી હતી.

Gujarat