અજાણ્યા શખસ વિરુધ્ધ બળાત્કાર તેમજ અપહરણનો ગુનો દાખલ કરાયો
- પાલનપુરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ
- એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોતરાયા, પોલીસ દ્વારા આરોપીની કડી મેળવવા સીસીટીવી કેમેરાની મદદ લેવાઈ
પાલનપુર,
તા. 04 માર્ચ 2020, બુધવાર
પાલનપુરમાં ચાર વર્ષની માસુમ બાળકી સાથે અજાણ્યા નરાધમ
દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે ત્યારે પોલીસ દ્વારા અજાણ્યા
શખસને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે. જેમાં રેપ મામલે અજાણ્યા
નરાધમ વિરુધ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને
સત્વરે ઝડપી લેવા માટે રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ શરૃ કરવામાં
આવી છે. જેમાં આરોપી પોલીસથી હાથ વેંત દૂર હોઈ તે ટુંક જ સમયમાં પકડાઈ જવાનો
આશાવાદ સેવાઈ રહ્યો છે.
મુસાફરોથી ભરચક રહેતા પાલનપુર રેલવે સ્ટેશન પર ગત સોમવારે
બપોરના સમયે ફરી રહેલ એક પરપ્રાંતીય શ્રમિક મહિલાની ચાર વર્ષીય પુત્રીનં અજાણ્યા
ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને બાળકીને રેલવે પોલીસ સ્ટેશન નજીક આવેલ
રેલવેના ખંડેર ક્વાર્ટરમાં લઈ જઈ ત્યાં તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવતા બાળકી
લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જતા તેને એક ઝાડ નીચે મુકીને નરપીચાશ નરાધમ ભાગી ગયો
હતો. આ રેપની ઘટનાએ સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાવી છે ત્યારે પોલીસ દ્વારા આ
જધન્ય કૃત્યના આરોપીને દબોચી લેવા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારઓ ઘટનાસ્થળની
મુલાકાત લઈને આરોપીની કડી મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આરોપીએ બાળકીનું
રેલવે સ્ટેશન પરથી અપહરણ કર્યું હોવાની શંકાના પગલે પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ
હાથ ધરી છે. જેમાં આરોપી ટુંક સમયમાં પકડાય જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
વિવિધ એજન્સીઓ તપાસમાં જોડાઈ
પાલનપુરના ચકચારી રેલવે રેપ પ્રકરણમાં આરોપીને ઝડપી લેવા
અને બનાવની ન્યાયિક તપાસ કરવા માટે રેલવેના ડીએસપી ગીતાબેન પટેલ, બનાસકાંઠા
પોલીસવડા તરૃણકુમાર દુગ્ગલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તેમજ
એફએસએલ, એસઓજી, એલસીબી, અમદાવાદ ક્રાઈમ
બ્રાન્ચની ટીમો તપાસમાં જોતરાઈ છે.
આરોપી સીસીટીવીમાં કેદ થયો હોવાની આશંકા
રેપનો ભોગ બનેલી બાળકીનું રેલવે સ્ટેશન પરથી અપહરણ થયું
હોવાની શંકાએ પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર કામ કરતા શકમંદોની પુછતાછ કરાઈ હતી
તેમજ સીસીટીવી ફુટેજની તપાસ શરૃ કરવામાં આવી છે. જેમાં આરોપીની કડી મળવાની આશંકા
સેવાઈ રહી છે.