Gujarat

નેદ્રામાં 3, સિધ્ધપુરમાં 1 કોરોના પોઝિટિવ કેસ

By GS Team
8 Apr 20204 mins read
This article was originally published on 8 Apr 2020
નેદ્રામાં 3, સિધ્ધપુરમાં 1 કોરોના પોઝિટિવ કેસ

સિધ્ધપુર, પાલનપુર, તા. 7 એપ્રિલ, 2020, મંગળવાર

પાટણ જિલ્લામાં મુંબઈથી આવેલા યુવકના સંક્રમણથી તેના સગા કોરોનામાં સપડાયા હતા. જે બાદ વધુ ત્રણ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે. જોકે સિધ્ધપુરમાં કોરોનાનું કનેક્શન મુંબઈ હોવાનું બહાર આવતા સાવચેતીના ભાગરૃપે સિધ્ધપુર સહિત તાલુકાના ૫૫ ગામને સીલ કરી દેવામાં આવ્યા છે તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓ સંસર્ગમાં આવેલ ૩૦૦ જેટલા વ્યક્તિઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

પાટણ જિલ્લામાં મુંબઈના કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવેલ સિધ્ધપુરના યુવકે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવતા આજે આખા સિધ્ધપુર તાલુકાના હોટ સ્પોટ બન્યો છે. સિધ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતા યુવકના સંક્રમણથી તેના નજીકના સગા કોરોના પોઝિટિવમાં સપડાયા છે. જે બાદ આ યુવક સાથે એક જ  વાહનમાં મુંબઈથી આવેલા નેદ્રા ગામના ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા સિધ્ધપુરમાં કોરોના પોઝિટિવનો આંક પાંચ પર પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોના ગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવેલ ૩૦૦ જેટલા લોકો સિધ્ધપુર નર્સિંગ કોલેજ સહિતની જગ્યાએ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જોકે સિધ્ધપુરમાં કોરોનાના કહેર પાછળ મુંબઈ કનેક્શન બહાર આવતા તંત્ર દ્વાર ાકોરોનામાં સંક્રમણને રોકવા માટે સિધ્ધપુર શહેર સહિત તાલુકાના ૫૫ ગામોને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યા છે. જોકે સિધ્ધપુર તાલુકામાં ચાર દિવસમાં કોરોના પોઝિટિવમાં પાંચ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

સિધ્ધપુર તાલુકામાં કોરોનાને રોકવા ગ્રામ્ય સ્તરે કમિટિઓ નિમાઈ

સિધ્ધપુર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ ંકે મુંબઈથી આવેલ યુવકે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવતા તાલુકામાં કોરોનાનો આંક પાંચ પર પહોંચ્યો છે ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે દરેક ગામમાં સાવચેતીના પગલા ભરવા માટે સરપંચ, તલાટી, ડેરીના ચેરમેન,  ગ્રામસેવક, રેવન્યુ તલાટી, મધ્યાહ્ન ભોજન સંચાલક, આંગણવાડી કાર્યકર અને આશાવર્કરની કમિટીઓની રચના કરવામાં આવી છે. જે કમિટી ગામમાં કોરોના વાઈરસને ફેલાતો રોકવા સરકારમાં આદેશ મુજબ કામ કરશે.

પાટણ જિલામાં ટેકો પ્લસ એપ્લિકેશન દ્વારા સર્વે કરવામાં આવ્યો

પાટણ જિલ્લા આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરા મેડિકલ સ્ટાફની ૧,૬૮૫ જેટલી ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારિત હાઉસ ટુ હાઉસ સર્વેમાં તા. ૬ એપ્રિલના રોજ ૫૧,૨૫૩ ઘરોની મુલાકાત લઈ ૨,૪૭,૭૦૧ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા ૧,૦૦૮ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી તેમજ પાટણ અને સિધ્ધપુર શહેરમાં શરૃ કરવામાં આવેલા ૧૨ જેટલા મહોલ્લા, ક્લિનિકમાં ૩૬૨ જેટલા લોકોની પ્રાથમિક તપાસ કરી જરૃરી સારવાર આપવામાં આવી હતી.

પાટણ જિલ્લામાં કોરેન્ટાઈનનો ભંગ કરનાર બે યુવક સામે ફરિયાદ નોંધાઈ

પાટણ જિલ્લામાં કોરોના વાઈરસના નિદાન માટે ૬ એપ્રિલના રોજ ૧૨ જેટલા ટેસ્ટ સેમ્પલ સહિત અત્યાર સુધીમાં કુલ ૬૨ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ રાજ્યોમાંથી આવેલ કુલ ૫૦૮ વ્યક્તિઓને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં રાજસ્થાનમાં છુટક મજુરી કરતા અને વતન પરત ફરેલા પાટણ જિલ્લાના કુડેર ગામના ૨ વ્યક્તિઓને હોમ કોરેન્ટાઈનનો ભંગ કરતા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા આ બંને શખસો સામે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

૧૯ ગામોમાં લોકોની અવરજવર પર પાબંધી

પાટણ જિલ્લામાં સિધ્ધપુરમાં પાંચ કેસો નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. જેમાં પ્રાંત અધિકારી સિધ્ધપુર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સિધ્ધપુર તાલુકાના પાંચ કિલોમીટરની અંદર આવતા ૧૯ ગામોની અવરજવર સંપૂર્ણ બંધ કરી કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોરોના વાયરસના વધુ કેસો ન આવે તેની તકેદારી રાખવામાં આવી રહી છે તેમજ ગામમાં અવરજવર પર નોંધણી કરવા પણ જણાવવામાં આવ્યું છે.

સિધ્ધપુરમાં બહારથી આવેલ ૧૮૭ લોકોને કોરેન્ટાઈન કરાયા

પાટણ જિલ્લામાં કોરોનાના પાંચ કેસ પૈકી બે પોઝિટિવ કેસ સિધ્ધપુર શહેરના હોવાને લઈ કોરોના સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સિધ્ધપુરમાં મુંબઈ, અમદાવાદ, સુરત સહિતના બહારના વિસ્તારમાંથી આવેલ ૧૮૭ લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ તમન્ના સોસાયટીને હોમ કોરેન્ટાઈન કરી આવશ્યક ચીજવસ્તુઓ સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાયો છે.

સિધ્ધપુર તાલુકાના ૫૪ ગામ સીલ કરાયા

સિધ્ધપુર તાલુકામાંથી મુંબઈથી એકજ  વાહનમાં આવેલ ચાર વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેમજ મુંબઈથી સિધ્ધપુર આવેલ યુવક સંક્રમણને લઈ તેના બનેવીને કોરોનાના ચેપ લાગતા તંત્ર દ્વારા તકેદારીના ભાગરૃપે સિધ્ધપુર શહેર સહિત તાલુકાના ૫૪ ગામોને સીલ કરી દેવામાં આવ્યા છે અને કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલ ૩૦૦ જેટલા લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

નેદ્રા, ચાટાવાડા, કાકોશીમાં સર્વેલન્સની કામગીરી શરૃ કરાઈ

પાટણ જિલ્લાની અંદર આજની તારીખ સુધીમાં કુલ પાંચ કોરોનાથી સંક્રમિત પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં આ ત્રણ કેસો નવા નથી આવ્યા પરંતુ જે પ્રથમ કેસ આવેલ હતો તેની સાથે જ મુંબઈથી આ ત્રણે લોકો આવ્યા હતા. જેથી આ ત્રણેનું ક્લોઝ કોન્ટેક્ટ તરીકે તેમનું સેમ્પલ લીધું હતું. જેમાં આજરોજ સવારે તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે નેદ્રા, ચાટાવાડા અને કાકોશીમાં સર્વેલન્સની કામગીરી શરૃ કરી છે તેમજ પોલીસ દ્વારા પણ આ ગામોમાં અને શહેરમાં સતત લોકડાઉન અને લોકોની અવરજવર પર પાબંદી કરવામાં આવી છે.

પિતા-પુત્ર સહિત ચાર પોઝિટિવ

ખોરજીયા ઈરફાન લાલજી-૪૯

મેસાણીયા આસીફ નુરા-૪૬

મેસાણીયા સહદ આસીફ-૨૧

માંકણોજીયા રફીક રસુલભાઈ-૫