ગણપતિ બાપ્પાની સ્થાપના પહેલા વાસ્તુ નિયમોનું રાખજો ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન
Ganesh Chaturthi 2025: હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ દેશભરમાં આ પર્વને ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ વર્ષે આ પર્વ 27 ઑગસ્ટના રોજ શરુ થશે અને આજ દિવસે ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. આ દિવસે ભક્તો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવે છે અને વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે. જોકે, ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવતાં પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને જીવનમાં સૌભાગ્યનું આગમન થાય છે. તો આવો જાણીએ કે, ગણેશજીની મૂર્તિ સ્થાપના કરતાં પહેલા વાસ્તુ નિયમો પ્રમાણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.
આ પણ વાંચો: 8 દિવસ બાદ સૂર્ય-બુધ-કેતુનો મહાસંયોગ, આ રાશિના જાતકોને થશે ચાંદી જ ચાંદી!
ગણપતિ બાપાની મૂર્તિ લાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું
જો તમે આ વર્ષે તમારા ઘરમાં ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુ નિયમોનું ધ્યાન જરુર રાખો. માન્યતા પ્રમાણે ઘરમાં એવી મૂર્તિ લાવવી જોઈએ કે જે ન તો નાની હોય કે ન મોટી હોય. એટલે કે મધ્યમ કદની હોવી જોઈએ, કારણ કે, આવી મૂર્તિ સૌથી શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મોટા કદની મૂર્તિ પંડાલોમાં સ્થાપિત કરવામાં આવે છે.
ગણેશજીની સૂંઢની દિશાનું ખાસ ધ્યાન રાખો
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગણેશજીની મૂર્તિ પસંદ કરતી વખતે તેમની સૂંઢની દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરમાં વામાવર્તીની મૂર્તિ રાખવી એ સૌથી શુભ છે, એટલે કે એવી મૂર્તિ જેમાં ગણેશજીની સૂંઢ ડાબી બાજુ હોય. આવી મૂર્તિ ઘરમાં સફળતા અને સમૃદ્ધિ લાવનારી માનવામાં આવે છે.
ભગવાન ગણેશની મુદ્રા
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બેઠેલી ગણેશજીની મૂર્તિ ઘરે લાવવી એ સૌથી શુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, સુખાકારી અને આશીર્વાદ જળવાઈ રહે છે. જ્યારે, પંડાલો અથવા જાહેર સ્થળોએ ઊભી અથવા નૃત્ય કરતી મૂર્તિઓ લાવવી જોઈએ.
ભગવાન ગણેશની મૂર્તિ સાથે મોદક અને ઉંદર હોવા જોઈએ
ગણેશજીને મોદક ખૂબ જ પ્રિય છે અને તેમનું વાહન ઉંદર માનવામાં આવે છે. તેથી, ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવતી વખતે એ ખાસ ધ્યાન રાખો કે, મૂર્તિ સાથે મોદક અને ઉંદર પણ સાથે હોય. વાસ્તુશાસ્ત્રમાં આવી મૂર્તિને અત્યંત શુભ અને લાભદાયી માનવામાં આવે છે.
મૂર્તિના રંગોનું ધ્યાન રાખો
ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવતી વખતે, તેના રંગનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં સફેદ રંગની મૂર્તિ રાખવી એ સૌથી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, સિંદૂર રંગની મૂર્તિ પણ રાખી શકાય છે.