Karwa Chauth 2025: આ વર્ષે કરવા ચૌથનું વ્રત 10 ઓક્ટોબર, 2025, શુક્રવારના રોજ રાખવામાં આવશે. હિન્દુ પંચાગ પ્રમાણે કરવા ચૌથ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. ઘણી જગ્યાએ કુંવારી કન્યાઓ પણ સારા પતિની કામના કરવા માટે કરવા ચૌથનું વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે, આ તિથિ પર વ્રત રાખવાથી લગ્ન જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે દેવી સતીએ પણ ભગવાન શિવ માટે આ વ્રત રાખ્યું હતું. આ ઉપરાંત આ તિથિનો સબંધ ભગવાન ગણેશ સાથે પણ છે. આ સાથે જ આ જ દિવસે ભગવાન ગણેશ, માતા ગૌરી અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આ વખતે કરવા ચૌથ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે ઘણા શુભ સંયોગો બનશે. તો ચાલો તેમના વિશે જાણીએ.
કરવા ચૌથ 2025 તિથિ
કરવા ચૌથની તિથિની શરૂઆત 9 ઓક્ટોબરના રોજ રાત્રે 10:54 વાગ્યે થશે અને 10 ઓક્ટોબરના રોજ સાંજે 7:37 વાગ્યે સમાપ્ત થાય છે. ઉદયાતિથિ પ્રમાણે કરવા ચૌથ 10 ઓક્ટોબરના રોજ જ ઉજવવામાં આવશે.
કરવા ચૌથ પર ચંદ્રોદયનો સમય
આ વખતે કરવા ચૌથ પર ચંદ્રોદય રાત્રે 8:14 વાગ્યે શરૂ થશે. દિલ્હી-NCRમાં પણ ચંદ્રોદયનો સમય રાત્રે 8:14 વાગ્યાનો રહેશે.
200 વર્ષ બાદ કરવા ચૌથ પર બનશે દુર્લભ સંયોગ
જ્યોતિષ અને પંડિત મનોજ ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે આ વખતે કરવા ચૌથ પર સિદ્ધિ યોગ અને શિવવાસ યોગનો સંયોગ બની રહ્યો છે. સિદ્ધિ યોગ અને શિવવાસ યોગ કરવા ચૌથ પર પૂરા 200 વર્ષ પછી એક સાથે બની રહ્યો છે.
આ પણ વાંચો: ભારતીય કંપનીઓએ મોટી રાહત, જેનેરિક દવાઓ પર ટેરિફ નહીં લગાવે ટ્રમ્પ, જાણો યુ-ટર્નનું કારણ
કરવા ચૌથ પર સિદ્ધિ યોગનું મહત્વ
પંચાંગ પ્રમાણે આ દિવસે સિદ્ધિ યોગનો સંયોગ સાંજે 5:41 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કરવા ચૌથની તિથિ એટલે કે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી પર સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગ કોઈપણ કાર્યમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત કરાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગ દરમિયાન કરવામાં આવતી પૂજા અને સાધના ખાસ ફળદાયી હોય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કરવા ચૌથના દિવસે સિદ્ધિ યોગમાં વ્રત રાખવાથી અને પૂજા કરવાથી વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે.
કરવા ચૌથ પર શિવવાસ યોગનું મહત્વ
આ વખતે કરવા ચૌથ પર શિવવાસ યોગ પણ બની રહ્યો છે. શિવવાસનો અર્થ છે ભગવાન શિવનું નિવાસ. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જ્યારે શિવવાસ કૈલાશ પર હોય છે, ત્યારે તે સમયે પૂજા-પાઠ, રુદ્રાભિષેક અને વ્રત માટે અત્યંત શુભ માનવામાં આવે છે. શિવવાસ યોગમાં પૂજા કરવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ ઝડપથી પ્રાપ્ત થાય છે. કરવા ચૌથના દિવસે આ સંયોગ સૌભાગ્યવતી મહિલાઓના વૈવાહિક જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવશે. આ યોગ દરમિયાન પૂજા કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને અતૂટ બંધન બને છે.


