રક્ષાબંધન 2025: કેટલા દિવસ બાદ કાંડા પરથી ઉતારવી જોઈએ રાખડી? જાણો શું છે માન્યતા
Raksha Bandhan 2025: રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમ, ભક્તિ અને રક્ષણના વચનનું પ્રતીક માનવામાં આવે છે, જે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટ 2025 ના રોજ મનાવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, જેને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે. આ સાથે ભાઈના લાંબા આયુષ્ય અને સફળતાની પણ કામના કરે છે. તેમજ બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધીને ભાઈ પાસે તેના રક્ષણનું વચન માંગે છે.
આ પણ વાંચો: રક્ષાબંધન 2025: ભાઈની રાશિ અનુસાર પસંદ કરો રાખંડીનો રંગ, ખૂલી જશે ભાગ્યના દ્વાર
'રાખી' એક પવિત્ર સંબંધ
રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન દ્વારા ભાઈના કાંડા પર બાંધવામાં આવેલું રક્ષાસૂત્ર માત્ર એક કોઈ સામાન્ય દોરો નથી, પરંતુ એક પવિત્ર સંબંધનો દોરો છે. જે પ્રેમ, વિશ્વાસ અને સમ્માનનું પ્રતીક પણ છે. બહેન દ્વારા ભાઈના કાંડા પર બાંધવામાં આવેલી રાખડીને કાઢવાની વાત આવે છે, ત્યારે તેઓ તેના પર બહુ ધ્યાન આપતા નથી. તો, કેટલાક લોકો રાખડી ખોલીને અહીં-ત્યાં ફેંકી દે છે, જ્યારે આ ખૂબ જ ખોટી રીત છે. એટલે એ જાણવું જરુરી છે કે, કાંડા પર બાંધેલી રાખડી કેટલા દિવસ પછી કાઢવી જોઈએ અને રાખડી કાઢ્યા પછી શું કરવું જોઈએ.
કેટલા દિવસ પછી કાઢી શકાય છે રાખી
બહેન દ્વારા ભાઈના કાંડા પર બાંધેલી રાખડી કેટલા દિવસ પછી કાઢી શકાય તે શ્રદ્ધા, સુવિધા અને વ્યક્તિગત માન્યતા પર આધાર રાખે છે. પરંતુ ધાર્મિક અને વિજ્ઞાનિક દૃષ્ટિએ કેટલીક માન્યતાઓ અને નિયમો બતાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવું આવશ્યક છે.
શું છે ધાર્મિક માન્યતા
ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો રાખડી કાઢવાનો કોઈ નિશ્ચિત સમય કે ખાસ દિવસ નથી. પરંતુ તમે શ્રાવણ પૂર્ણિમાથી ભાદરવાની અમાવસ્યા એટલે કે 15 દિવસ સુધી કાંડા પર રાખડી બાંધી રાખી શકો છો. તો, કેટલીક માન્યતા એવી છે કે રાખડી 3, 7 કે 11 દિવસ સુધી હાથમાં રાખવી જોઈએ અને પછી કાઢવી જોઈએ. ઘણા લોકો જન્માષ્ટમી અથવા ગણેશ ચતુર્થીના દિવસે પણ રાખતા હોય છે. પરંતુ રાખડી ઓછામાં ઓછા 24 કલાક સુધી હાથમાં બાંધેલી રહેવા દો. આ પહેલા રાખડી કાઢશો નહીં. એક વાત ધ્યાનમાં રાખો કે પિતૃપક્ષ શરૂ થાય તે પહેલાં રાખડી ઉતારી લેવી જોઈએ.
વિજ્ઞાન શું કહે છે
વિજ્ઞાનના નિયમો અને ધાર્મિક માન્યતાઓ એકબીજાને ક્યાંકને ક્યાંક ટેકો આપે છે. વિજ્ઞાનિક દૃષ્ટિએ પણ રાખડીને ઘણા દિવસો સુધી હાથમાં રાખવી સારી માનવામાં આવતી નથી. વિજ્ઞાન અનુસાર રાખડી કે રક્ષાસૂત્ર કપાસ કે રેશમના દોરાથી બનેલું હોય છે, જે પાણી કે ધૂળના સંપર્કમાં આવવાથી ગંદી થઈ જાય છે અને તેનાથી બેક્ટેરિયાનું જોખમ વધી શકે છે. જેથી કરીને રાખડીને સારી અને સ્વચ્છ સ્થિતિમાં હોય ત્યાં સુધી જ તમારા કાંડા પર રાખવી યોગ્ય છે.
કાંડા પરથી ઉતારેલી રાખડીનું શું કરવું?
રાખી કે રક્ષાસૂત્ર એક પવિત્ર દોરો છે. જેથી કરીને તેને ગમે ત્યાં ફેંકવી ન જોઈએ. રાખડી કાઢ્યા પછી તમે તેને નદીમાં પધરાવી શકો છો. કોઈ વૃક્ષ પર બાંધી શકો છો અથવા છોડના મૂળમાં દાટી શકો છો. પરંતુ રાખડીને ગમે ત્યાં ફેંકવા કરતાં કાંડામાંથી ઉતારી લીધા પછી તેને બોળી દેવી વધુ સારું છે. જો તમે રાખડીનું વિસર્જન ન કરી શકો તો તમે તેને ઝાડ પર બાંધી દો અથવા કોઈ વૃક્ષના મૂળમાં દાટી શકો છો.