Get The App

જાણો તમારો સૂર્ય પોઝિટિવ છે કે નેગેટિવ? તમારો સૂર્ય બળવાન છે કે કમજોર?

Updated: Jul 20th, 2022

GS TEAM

Google News
Google News
જાણો તમારો સૂર્ય પોઝિટિવ છે કે નેગેટિવ? તમારો સૂર્ય બળવાન છે કે કમજોર? 1 - image


- જો તમને પૈતૃક સંપત્તિમાં ખૂબ જ સરળતાથી ભાગ મળી ગયો હોય તો તે અનુકૂળ અને શુભ સૂર્યની નિશાની છે

અમદાવાદ, તા. 20 જુલાઈ 2022, બુધવાર

'સૂર્ય' એ તમામ ગ્રહોનો રાજા છે. તે સમગ્ર સૌર મંડળનો મુખ્ય ગ્રહ છે અને તમામ ગ્રહ તેની આજુબાજુ ચક્કર લગાવે છે. આપણા માટે સૂર્ય એક આત્મા સમાન છે. આ કારણે જ સૂર્ય સૌથી મહત્વનો ગ્રહ છે. 

જ્યારે તમારો સૂર્ય લાભદાયી, બળવાન, પોઝિટિવ હોય ત્યારે શું લક્ષણો જોવા મળે છે અને તમારી પોતાની અંદર શું લાક્ષણિકતાઓ જોવા મળે છે તે સમજીએ. 

સૌથી પહેલા તો તમારી અંદર એક પ્રબળ ઈચ્છાશક્તિ, સ્વ શિસ્ત, સમયનું વ્યવસ્થાપન, ખૂબ જ સારૂં આત્મ સન્માન હશે. તમે જ્યાં સુધી કામ પૂરૂં ન થઈ જાય ત્યાં સુધી આરામ ન ફરમાવો તેવો સ્વભાવ ધરાવતા હશો. તમે એક ધ્યેય સિદ્ધ થઈ જાય એટલે આરામથી બેસી જવાના બદલે તરત જ નવો ધ્યેય નિશ્ચિત કરીને તેને પાર પાડવા માટે કામે લાગી જતા હશો. જેમનો સૂર્ય શુભ અને પ્રબળ હોય તે લોકો ખૂબ જ જોઈ-વિચારી અને માપીને વાત કરવાની આદત ધરાવતા હોય છે. 

જો તમે મોટિવેશનલ લેક્ચર્સ આપી શકો છો, તમારી આજુબાજુના દરેક લોકોને સારા કામ કરવા માટે પ્રેરણા પૂરી પાડો છો, તો વિશ્વાસ રાખો કે, તમારો સૂર્ય ખૂબ જ પોઝિટિવ અને પ્રબળ છે. 

જો તમે સમયના વ્યવસ્થાપન, સમયપાલન, પ્રમાણિકતા સહિતના ગુણ ધરાવો છો તો તમારો સૂર્ય લાભદાયી, પોઝિટિવ, અનુકૂળ છે. 

જો તમારા જીવનમાં અનેક વખત એવી ઘટનાઓ બની હોય જ્યાં તમને એમ લાગે કે, તમે ત્યાં ચૂકી જાત પરંતુ છતાં ભાગ્યએ તમારો સાથ આપ્યો તો સમજી લો કે, તમારો સૂર્ય લાભદાયી છે. 

જો કોઈ ધ્યેયને પાર પાડવામાં તમે થાકી રહ્યા હોવ પરંતુ અચાનક જ કોઈ મોટિવેશન, કોઈ બળ તમને આગળ વધવા માટેની પ્રેરણા આપે તો તમારો સૂર્ય બળવાન અને પોઝિટિવ છે. 

જો તમારા જીવનમાં તમારા પિતા એક  ઉચ્ચ હોદ્દા પર આસીન કે કોઈ ઉચ્ચાધિકારી છે, કોઈ કંપનીના ડિરેક્ટર છે કે સીઈઓ છે અથવા તો કોઈ સન્માનજનક પોસ્ટ પર છે, સમાજમાં ખૂબ જ આદર ધરાવે છે તો તમારો સૂર્ય સારો અને બળવાન છે. 

આ પણ વાંચોઃ જાણો તમારો રાહુ પોઝિટિવ છે કે નેગેટિવ? તમારો રાહુ બળવાન છે કે કમજોર?

જો તમારે તમારા પિતા સાથે અથવા તો તમારા પોતાના બાળકો સાથે ખૂબ જ સારા સંબધો છે, તમે એક બીજાનું માન જાળવો છો તો તે સારા, પોઝિટિવ સૂર્યની નિશાની છે. 

જો તમે જલ્દી બીમાર નથી પડતા, તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે, તમે યોગ-પ્રાણાયામ વગેરમાં વિશ્વાસ ધરાવો છો તથા હંમેશા ફીટ-તંદુરસ્ત રહેવાનું પસંદ કરો છો તો તમારો સૂર્ય શક્તિશાળી છે. 

જો તમને સરખી રીતે ભૂખ લાગતી હોય, તમારૂં પાચનતંત્ર સરખી રીતે કામ કરતું હોય તો પણ તમારો સૂર્ય અનુકૂળ અને શક્તિશાળી હોવાનું કહી શકાય. કારણ કે, સૂર્ય જ જઠરાગ્નિ છે અને તે ભૂખ વધારનારો ગ્રહ છે. તે ભોજનનું સારી રીતે પાચન કરે છે. તમારૂં યોગ્ય ડાયેટ પણ તમારા પ્રબળ સૂર્યની નિશાની છે. 

જો તમને પૈતૃક સંપત્તિમાં ખૂબ જ સરળતાથી ભાગ મળી ગયો હોય અથવા તો તમને તમારા દાદા-પરદાદા પાસેથી ખૂબ જ સરળતાથી આયુર્વેદ, જ્યોતિષ, તંત્ર સાધના, ગુપ્ત વિદ્યા વગેરે વારસાગત રીતે મળ્યા હોય તો તે સારા અને અનુકૂળ સૂર્યની નિશાની છે. 

જો તમે વિશ્લેષણ (એનાલિટિક્સ)ના કામકાજ સાથે સંકળાયેલા છો અથવા તો મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છો અને હંમેશા તમે આ ક્ષેત્રોમાં ઝળકતા રહેતા હોવ તો તમારો સૂર્ય ખૂબ જ પ્રબળ છે. જો તમે આઈએસ- સિવિલ સર્વિસની પરીક્ષા માટે પ્રયત્ન કર્યો હોય અને 1-2 વખતમાં જ તમારૂં સિલેક્શન થઈ જાય તથા સારી પોસ્ટ મળી જાય તો વિશ્વાસ રાખો કે, તમારો સૂર્ય ખૂબ જ સારો અને પ્રબળ છે. 

જોકે સારા અને પોઝિટિવ સૂર્ય ધરાવતા લોકોમાં કેટલીક ઉણપો, ખામીઓ પણ જોવા મળતી હોય છે. સૌથી પહેલું તો તમે અહંકારી હોવ છો અને તમે સકારાત્મક ટીકા પણ નથી સાંભળી શકતા. તમે તમારી આજુબાજુ ચાંપલૂસો, ચમચાઓને રાખવાનું પસંદ કરો છો. ઉપરાંત તમે જ્યાં સુધી તમારા ઘરના લોકો, પરિવારજનો તમને ઉંચુ સ્થાન ન આપે ત્યાં સુધી તેમના માટે પણ કશું સારૂં નથી કરતા અને ઘરના લોકો પાસેથી પણ ખાસ માનની અપેક્ષા રાખો છો.  

જોકે તમારે એ સમજી લેવાની ખાસ જરૂર છે કે, તમારે તમારી આજુબાજુ એવા લોકોને રાખવા જોઈએ જે કદીક તમારી ટીકા પણ કરી શકે. જો એમ નહીં બને તો કેટલાક લોકો તમારી સાથે વિશ્વાસઘાત, દગાબાજી કરી શકે છે અને તમે હેરાન થઈ શકો છો. આ કારણે સારા અને પોઝિટિવ સૂર્ય છતાં પણ તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. હવે તમે તમારા વ્યક્તિત્વનું જ વિશ્લેષણ કરો અને જુઓ કે, શું તમારો સૂર્ય સારો છે?

હવે વાત કરીએ નબળા, નકારાત્મક સૂર્ય વિશેઃ

જો તમારો સૂર્ય નીચનો છે, ક્રૂર પ્રભાવમાં છે, નબળો છે તો શું બનશે?

જો તમારો સૂર્ય કમજોર, નેગેટિવ હશે તો સૌથી પહેલા તો તમારામાં આત્મસન્માન અને તમારી જાત માટે પ્રેરણાનો અભાવ હશે. તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હશે અને તમે વારંવાર બીમાર પડતા હશો. 

જો તમને સરખી રીતે ભૂખ ન લાગતી હોય, તમે પેટસંબંધી રોગથી પીડાઈ રહ્યા હોવ, તમારે તમારા પિતા સાથે સારા સંબંધ ન હોય, તમારા પિતાનું જલ્દી મૃત્યુ થઈ ગયું હોય, તમારે તમારા પિતાથી દૂર રહેવું પડી રહ્યું હોય કે પછી તમારા પિતા સામાજીક રીતે સારો આદર ન ધરાવતા હોય, સમાજમાં માન-સન્માન ન ધરાવતા હોય તો તે નબળા, નેગેટિવ સૂર્યની નિશાની છે. 

જો તમારા સંતાન તમને કષ્ટ-દુઃખ આપી રહ્યા છે અથવા તો તમારે તેમના સાથે સારા સંબંધો નથી તો તે નબળા અને ખરાબ સૂર્યની નિશાની છે. તમને અનેક વખત એમ લાગશે કે, જીવનમાં ઘણાં એવા પ્રસંગો આવ્યા જ્યારે તમે કશુંક મોટું કરી શકો તેમ હતા પરંતુ ચૂકી ગયા કે ન કરી શક્યા. એ તકનો પૂરતો લાભ ન ઉઠાવી શક્યા તો તે નબળા, નેગેટિવ સૂર્યની નિશાની છે. 

જો તમે રિયલ એસ્ટેટ, જમીન વગેરેમાં પૈસાનું રોકાણ કર્યું હોય અને ભારે મોટું નુકસાન જાય તો સમજી લો કે, તમારો સૂર્ય નબળો છે. 

જો તમે વારંવાર મેડિકલ એન્ટ્રન્સ, આઈએએસ, પીસીએસની પરીક્ષાઓમાં સિલેક્ટ નથી થઈ રહ્યા તો સમજી લો કે તમારો સૂર્ય નબળો છે. ઘણી વખત સિલેક્શન થઈ જવા છતાં પણ તમે સંઘર્ષ કરી રહ્યા છો તો પણ તે ખરાબ સૂર્યની નિશાની છે. 

જ્યારે તમારે તમારી આત્મપ્રશંસા કરવા માટે ખૂબ જ લાંબી અને કંટાળાજનક વાતો કરવી પડતી હોય તો તે નબળા સૂર્યની નિશાની છે. 

ઘણી વખત તમે યોગ્ય સમયે નિર્ણય ન લઈ શકવાના કારણે કોઈ તકનો લાભ નથી લઈ શકતા અને પછી તમારા નસીબને કોસો છો તો તે નબળા સૂર્યની નિશાની છે. 

જો તમે તમારા પોતાના ધર્મ સામે વિદ્રોહ દર્શાવતા હોવ, તમે 'ભગવાન શું છે?ઈશ્વર છે જ નહીં, હું નથી માનતો, ભગવાને મને આપ્યું જ શું છે? મને તો કશું નથી મળ્યું' જેવી વાતો કરતા હોવ તો તે નબળા અને નેગેટિવ સૂર્યની નિશાની છે. 

- મૃત્યુંજય શર્મા

જાણો તમારો સૂર્ય પોઝિટિવ છે કે નેગેટિવ? તમારો સૂર્ય બળવાન છે કે કમજોર? 2 - image

Tags :