Get The App

ગણપતિ વિસર્જન ક્યારે? જાણી લો શુભ મુહૂર્ત, મહત્ત્વ અને તમામ સંબંધિત પરંપરાઓ

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
ગણપતિ વિસર્જન ક્યારે? જાણી લો શુભ મુહૂર્ત, મહત્ત્વ અને તમામ સંબંધિત પરંપરાઓ 1 - image


Ganesh Visarjan 2025: ગણેશ ચતુર્થીનો પર્વ ભગવાન ગણેશના જન્મનું પ્રતીક છે. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન ભક્તો પોતાના ઘરમાં ગણપતિ બપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે અને તેમની પૂજા કરે છે. આ મહાપર્વ ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. ગણેશ વિસર્જનના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું પૂરા સન્માન સાથે અને ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે, તો ચાલો જાણીએ ગણેશ વિસર્જનની તિથિ, શુભ મુહૂર્ત, મહત્ત્વ અને તેની સાથે જોડાયેલી પરંપરાઓ.

ગણપતિ વિસર્જન 2025ની તિથિ

આ વખતે ગણેશ વિસર્જન 6 સપ્ટેમ્બરના રોજ થશે. આ જ દિવસે અનંત ચતુર્દશી પણ ઉજવવામાં આવે છે. પરંતુ કેટલાક ભક્તો પોતાની પરંપરા પ્રમાણે 1.5, 3, 5 કે 7 દિવસ પછી પણ ગણપતિનું વિસર્જન કરે છે.

ગણપતિ વિસર્જનની રીત

ગણપતિ વિસર્જનના દિવસે સવારથી ઉપવાસ રાખવો જરૂરી છે. જો તમે ઉપવાસ ન રાખી શકો તો ફળાહાર કરી શકો છો. ઘરમાં સ્થાપિત ગણેશ મૂર્તિની વિધિવત પૂજા કરો. પૂજામાં નાળિયેર, શમીના પાન અને દૂર્વા અર્પણ કરો. મૂર્તિને વિસર્જન માટે લઈ જતી વખતે ભગવાન ગણેશને સમર્પિત ચોખાના દાણા ઘરમાં નાખો.

ગણેશજીનું વિસર્જન ઉઘાડા પગે જ કરવું. તમને જણાવી દઈએ કે, માટીની મૂર્તિઓ વિસર્જન માટે શ્રેષ્ઠ છે. તેથી પ્લાસ્ટિકની મૂર્તિઓ સ્થાપિત ન કરવી. વિસર્જન પછી શ્રી ગણેશજીને હાથ જોડીને કલ્યાણ અને સુખાકારી માટે પ્રાર્થના કરો.

વિસર્જન સમયે કરો આ વિશેષ ઉપાય

ભોજપત્ર અથવા પીળું કાગળ લો. અષ્ટગંધા શાહી અથવા નવી લાલ શાહીવાળી પેન પણ લો. ભોજપત્ર અથવા પીળા કાગળ પર સૌથી ઉપર સ્વસ્તિક બનાવો. ત્યારબાદ સ્વસ્તિકની નીચે 'ૐ ગં ગણપતયે નમઃ' લખો. ત્યારબાદ તમારી બધી સમસ્યાઓ લખો. લખાણમાં કોઈ કાપ-છાપ ન કરો. કાગળની પાછળ કંઈ ન લખવું. સમસ્યાઓના અંતે તમારું નામ લખો. આ પછી ગણેશ મંત્ર લખો. છેલ્લે સ્વસ્તિક બનાવો. કાગળને વાળીને તેને રક્ષાસૂત્રથી બાંધો. આ કાગળ ભગવાન ગણેશને સમર્પિત કરો. આ કાગળનું ભગવાન ગણેશની મૂર્તિ સાથે વિસર્જન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો: ચંદ્રગ્રહણના દિવસે મંગળ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

આ દિવસે મોક્ષની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. તેના માટે અનંત ચતુર્દશીનું વ્રત રાખવામાં આવે છે. બંધનનું પ્રતીક સૂત્ર હાથમાં બાંધવામાં આવે છે. વ્રતના પારાયણ સમયે તે ખોલવામાં આવે છે. આ વ્રત દરમિયાન મીઠાનું સેવન ન કરી શકાય. પારાયણ દરમિયાન સૈવયા કે ખીર જેવી મીઠી વસ્તુઓ ખાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે.

આ વ્રતમાં કપાસ અથવા રેશમના દોરાને કુમકુમથી રંગવામાં આવે છે અને તેમાં 14 ગાંઠ લગાવવામાં આવે છે. ત્યારબાદ વિધિ પ્રમાણે પૂજા કર્યા પછી તેને કાંડા પર બાંધવામાં આવે છે. કાંડા પર બાંધેલા આ દોરાને જ અનંત કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવતાં આ દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. આ 14 ગાંઠોને ભગવાન શ્રી હરિના 14 લોકનું પ્રતીક માનવામાં આવે છે. આ અનંત દોરો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અને અનંત ફળ આપે છે.



Tags :