Get The App

પાંચ દિવસ સુધી ભૂલથી પણ ન કરતાં આ કામો, મંગળવારથી શરૂ થઈ રહ્યું છે અગ્નિ પંચક

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
પાંચ દિવસ સુધી ભૂલથી પણ ન કરતાં આ કામો, મંગળવારથી શરૂ થઈ રહ્યું છે અગ્નિ પંચક 1 - image

Panchak 2026: હિન્દુ ધર્મમાં દર મહિને કેટલાક એવા દિવસો આવે છે જેને પંચક કહેવામાં આવે છે. આ દિવસો દરમિયાન શુભ કાર્યો કરવાથી બચવું જોઈએ, પંચકનું મહત્વ નક્ષત્ર અને સપ્તાહના દિવસ પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે મંગળવારે શરૂ થતાં પંચક અગ્નિ પંચક કહેવાય છે તેમાં આગથી જોડાયેલા કાર્યોમાં સાવધાની રાખવી જોઈએ. જો પંચક રવિવારથી શરૂ થાય છે, તો તેને રોગ પંચક કહેવામાં આવે છે. સોમવારે શરૂ થાય છે, તો તેને રાજ પંચક કહેવામાં આવે છે. શનિવારે શરૂ થતું પંચક મૃત્યુ પંચક કહેવાય છે. જેને સૌથી વધુ અશુભ માનવામાં આવે છે. પંચક 17 ફેબ્રુઆરી 2026 મંગળવારે સવારે 09:05 પ્રારંભ થાય છે અને 21 ફેબ્રુઆરી 2026ની સાંજે 07:07 વાગ્યે સમાપ્ત થાય છે. આ પંચક અગ્નિ પંચક કહેવાશે કારણ કે ફેબ્રુઆરી મહિનાનું આ પંચક મંગળવારના દિવસે પ્રારંભ થઈ રહ્યું છે. 

પંચક દરમિયાન કયા કાર્યો વર્જિત

પંચક દરમિયાન લાકડા સાથે જોડાયેલા કાર્યોને અશુભ માનવામાં આવે છે. કોઈ પણ પ્રકારના લાકડાનું ફર્નિચર, જેમ કે પલંગ કે ખાટલો બનાવવાનું ટાળવું જોઈએ. ઘરની છત બનાવવી પણ વર્જિત છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ માંગલિક પ્રસંગો જેવા કે વિવાહ, ગૃહ પ્રવેશ કે કોઈ અન્ય શુભ અવસરો ન કરવા જોઈએ. તે ઉપરાંત પંચકમાં દક્ષિણ દિશાની યાત્રાથી બચવું જોઈએ કેમ કે તે યમની દિશા છે, વિશેષ રૂપે અગ્નિ પંચકમાં સાધનો, મશીનરી અથવા બાંધકામનું કામ શરૂ કરવું નુકસાનકારક માનવામાં આવે છે.

પંચકમાં કરવાના યોગ્ય ઉપાય

જો કે પંચકમાં ઘણા કાર્યો વર્જિત હોય છે, તે છતાં કેટલાક ઉપાય નકારાત્મક પ્રભાવને ઓછો કરે છે. જો કોઈ કારણવશ દક્ષિણ દિશાની યાત્રા કરવી જ પડી તેવી હોય તો પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. યાત્રાની શરૂઆત પહેલા ઉત્તર દિશા તરફથી કરવી જોઈએ. પંચકના તમામ પાંચ દિવસોમાં ભગવાન શિવ અને વિષ્ણુની નિયમિત પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તે ઉપરાંત તુલસીનું પૂજન કરવું પણ સકારાત્મક છે. આ સમયે દાન અને પુણ્ય કાર્ય કરવું અત્યંત લાભકારી છે.

આ પણ વાંચો: Surya Grahan 2026: વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ આવતીકાલે, જાણો શું કરવું-શું નહીં

પંચક માત્ર પાંચ વિશેષ નક્ષત્રમાં જ આવે છે. ઘનિષ્ઠા, શતભિષા, ઉત્તર ભાદ્રપદ, પૂર્વ ભાદ્રપદ અને રેવતી. આ નક્ષત્રોમાં કોઈ પણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં, આ પંચક નક્ષત્રોમાં ધ્યાન અને પૂજાથી તેના નકારાત્મક પ્રભાવને ઓછો કરી શકાય છે. 

નોંધ: આ લેખમાં આપવામાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. અમારો ધ્યેય માત્ર જાણકારી આપવાનો છે. આપેલી કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.