Adhik Maas 2026: અંગ્રેજી કેલેન્ડરમાં જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત થાય છે, જ્યારે હિન્દુ પંચાંગ પ્રમાણે સમયની ગણતરી વિક્રમ સવંતથી થાય છે. હિન્દુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પ્રતિપદા(શુષ્ક પખવાડિયાનો પહેલો દિવસ)થી શરુ થાય છે. આગામી વિક્રમ સંવત 2083ને ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે, આ વર્ષે અધિક માસ લાગશે. જેના કારણે આ વર્ષ 12 નહીં પણ 13 મહિનાનું રહેશે, જેને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.
વિક્રમ સવંત 2083 ક્યારથી શરુ થશે?
વિક્રમ સંવત 2083ની શરુઆત 19 માર્ચ 2026થી થશે. આ દિવસે ગુડી પડવો ઉજવવામાં આવશે અને ચૈત્ર (વસંત) નવરાત્રિ પણ શરુ થશે.
જેઠ મહિનામાં લાગશે અધિક માસ
આ વર્ષે જેઠ મહિનામાં અધિક માસ લાગશે. અધિક જેઠ મહિનાની શરુઆત 17 મે, 2026થી થશે અને 15 જૂન, 2026 સુધી રહેશે. આ કારણે ઘણા વ્રત અને તહેવારો લગભગ 15થી 20 દિવસ આગળ ખસી શકે છે.
13 મહિના વાળું દુર્લભ હિન્દુ વર્ષ
અધિક માસના કારણે આ હિન્દુ નવું વર્ષ 13 મહિનાનું રહેશે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુએ આ અધિક માસને પોતાનું નામ આપ્યું હતું, તેથી તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. તેને બધા મહિનાઓમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. અધિક માસને મલ માસ, અધિક માસ અને પુરુષોત્તમ માસ તરીકે પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સમય ભક્તિ, સાધના અને આધ્યાત્મિક પ્રગતિ માટે સૌથી શુભ છે.
અધિક માસનું પૌરાણિક મહત્ત્વ
હિન્દુ પૌરાણિક કથાઓ પ્રમાણે જ્યારે અધિક માસ પ્રથમ વખત આવ્યો ત્યારે કોઈ પણ દેવતા તેને સ્વીકારવા તૈયાર નહોતા. ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાના રક્ષણ હેઠળ લઈને પુરુષોત્તમ માસ નામ આપ્યું. ત્યારથી આ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દરમિયાન કરવામાં આવતી પૂજા, જપ, તપ અને દાનથી સુખ, શાંતિ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. પંચાગ પ્રમાણે 17 મેથી 15 જૂન, 2026 સુધીનો સમગ્ર સમય સાધના, મંત્ર જાપ, ધ્યાન અને દાન માટે અત્યંત શુભ માનવામાં આવશે. આ મહિનાના પહેલા દિવસે વ્રત રાખવાથી પાપ નષ્ટ થાય છે અને સકારાત્મક ઊર્જા મળવાની માન્યતા છે.
એક વર્ષમાં બે જેઠ મહિના
વિક્રમ સંવત 2083માં એક ખાસ વાત એ પણ હશે કે બે જેઠ મહિના પડશે. એક સામાન્ય જેઠ મહિનો હશે અને બીજો અધિક જેઠ (પુરુષોત્તમ) મહિનો હશે. અધિક માસના કારણે જેઠ મહિનો લગભગ 58–59 દિવસો સુધી ચાલશે અને બંને મહિના થોડા સમય માટે પરસ્પર મળશે.
આ વર્ષે અધિક જેઠ માસની શરુઆત 17 મે 2026ના રોજ થશે અને 15 જૂન 2026ના રોજ સમાપ્ત થશે. બીજી તરફ સામાન્ય જેઠ મહનાની શરુઆત 22 મે 2026ના રોજ થશે અને 29 જૂન, 2026ના રોજ સમાપ્ત થશે. આ જ કારણો સર આ વર્ષ પંચાંગ અને ખગોળીય દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે.
શુભ કાર્યો પર રોક
ધાર્મિક ગ્રંથો પ્રમાણે અધિક માસ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન વિધિ, નામકરણ વિધિ, ભૂમિ પૂજન અથવા નવો વ્યવસાય શરુ કરવો અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી હોતી, તેથી આવા કામોથી ઇચ્છિત પરિણામો નથી મળતા. આ જ કારણ છે કે, મોટા શુભ સંસ્કારોને આ આખા મહિના સુધી ટાળવાની પરંપરા છે.
અધિક માસ કેમ લાગે છે?
વાસ્તવમાં સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચેના સમયગાળામાં અંતર હોય છે. સૂર્ય વર્ષ 365 દિવસનું હોય છે, જ્યારે ચંદ્ર વર્ષ લગભગ 354-355 દિવસનું હોય છે. સમયની સાથે આ અંતર વધતું જ જાય છે અને લગભગ 32 મહિના 16 દિવસમાં તેને સંતુલિત કરવું જરૂરી બની જાય છે. આ સંતુલન માટે પંચાંગમાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહેવાય છે.
અધિક માસ કેમ જરૂરી છે?
હિન્દુ તહેવારો અને વ્રત ચંદ્ર તિથિઓ પર આધારિત હોય છે. જો અધિક માસને જોડવામાં ન આવે તો તહેવારો પોતાની ઋતુથી હટી જશે, જેમ કે દિવાળી વરસાદમાં અને હોળી શિયાળામાં આવવા લાગશે. આ ગડબડને રોકવા માટે પ્રાચીન વિદ્વાનોએ અધિક માસની વ્યવસ્થા બનાવી. આ માત્ર ગાણિતિક રીતે જ જરૂરી નથી, પરંતુ ધાર્મિક રીતે પણ ખૂબ જ પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે.


