કોંગ્રેસના ધારાસભ્યના ટેકેદાર સામે મોડી રાત્રિ સુધી ડાયરો યોજવા મુદ્દે ગુનો
- પોલીસ કેસ થતા કોંગ્રેસના વરીષ્ઠ નેતાએ ભાજપ સામે કર્યા પ્રહાર
Updated: Nov 8th, 2022
- રાત્રિના ૧૦ વાગ્યા સુધીની મંજુરી હતી પરંતુ રાત્રિના ૧ વાગ્યા સુધી ગૌશાળાના લાભાર્થે ડાયરો યોજાતા વિવાદ
અમરેલી જિલ્લાના રાજુલાના હોડાવાળી ખોડિયાર ગૌશાળાના લાભાર્થે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મંજૂરીના સમયથી મોડી રાત સુધી ડાયરો ચાલવાને કારણે અમરીશ ડેરના ટેકેદાર સાગર રાદડિયા સામે ગુન્હો નોંધાયો હતો.જોકે આ બાબતે કોંગ્રેસના નેતા શક્તિસિંહ દ્વારા ટ્વીટ કરવામાં આવતા રાજકારણ ગરમાયુ હતું.
રાજુલા-જાફરાબાદ પંથકમાં વિધાનસભાની ચૂંટણીમાં લોક ડાયરા નો ક્રેઝ જોવા મળતો હોય છે.ભાજપ હોય કે કોંગ્રેસ લોકોને આકર્ષવા માટે લોક ડાયરાઓ દ્વારા મતો મેળવવાનો પ્રયાસ કરતા હોય છે.રાજુલાના હોડાવાળી ખોડિયાર મંદિર ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પરિવાર આયોજિત લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગૌશાળાના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં માયાભાઇ આહીર,કિર્તિદાન ગઢવી સહિતના કલાકારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહુવાના કોંગ્રસના ઉમેદવાર કનુભાઈ કલસરિયા સહિતના કોંગી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જોકે આ ડાયરામાં હાલ ચૂંટણીના કારણોસર પરમિશન લેવામાં આવી હતી.જેમાં મંજૂરીનો સમય ૧૦ વાગ્યા સુધીનો હતો.જોકે ડાયરો રાત્રીના ૧ વાગ્યા સુધી પણ ચાલવાને કારણે તેની સામે ૧૮૮ મુજબ પોલીસ દ્વારા ગુન્હો નોંધ્યો હતો.જેથી સમગ્ર રાજકારણ ગરમાયુ હતું.
આ વિવાદમાં કોંગ્રેસના વરિ નેતા શક્તિસિંહ ગોહિલએ પણ ઝંપલાવ્યું હતું.તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે, ગાય માતાને નામે મત લેનારા ગૌશાળા માટે કોઈ મદદ કરતા નથી અને જ્યારે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ગૌશાળાના લાભાર્થે ડાયરો કરે તો તેના ટેકેદાર સામે કેસ કરવામાં આવે છે.