પર્યાવરણને સૌથી વધુ ઉપયોગી : વાંસ
Updated: Apr 26th, 2024
વ નસ્પતિ વાતાવરણમાંથી કાર્બનડાયોકસાઈડ શોષીને ઓક્સિજન ભેળવે છે. અને પર્યાવરણને ઉપયોગી થાય છે. તેમાં સૌથી વધુ ઓક્સિજન ભેળવવામાં વાંસનો ફાળો છે. વાંસ અન્ય વનસ્પતિ કરતાં ૩૦ ટકા વધુ ઓક્સિજન મુક્ત કરે છે. આ ઉપરાંત પણ વાંસ પર્યાવરણ જ નહીં પણ માનવજાત માટે ઉપયોગી વનસ્પતિ છે. વાંસ સૌથી વધુ ઝડપે વિકાસ પામતી વનસ્પતિ છે. એટલે તેની ઉપજ માટે વધુ મહેનત કરવી પડતી નથી. વાંસનાં જંગલો થોડા સમયમાં જ વિસ્તાર પામતા હોય છે. વાંસ એક થી પાંચ વર્ષના ગાળામાં જ પુખ્ત બની જાય છે. સખત લાકડાના બીજા વૃક્ષો ૨૦ થી ૨૫ વર્ષે પુખ્ત બને છે.
વાંસનું મૂળતંત્ર અજાયબ છે. વાંસને કાપી લીધા પછી તેના ઠૂંઠા મૂળમાંથી ફરી ઉગી નીકળે છે. વાંસને ખાતર કે અન્ય રસાયણની જરૂર પડતી નથી. વાંસના પાન ખરીને જમીન પર પડે તેના ખાતરથી જ તે વિકસે છે.
વાંસના દરેક અવયવ માણસજાતને વિવિધ રીતે ઉપયોગી થાય છે.
વાંસનું જંગલ જમીનનું ધોવાણ અટકાવે છે. વાંસ બધી જ ઋતુ અને હવામાનમાં વિકાસ પામે છે.
વાંસ વચ્ચેથી પોલા હોય છે. તે સ્ટીલ કરતાં પણ વધુ મજબૂત હોય છે. વાંસને ઉધઇ કે અન્ય જીવાત લાગતી નથી એટલે સડતા નથી. વાંસમાં બાંબૂકૂન નામનું દ્રવ્ય હોય છે. વાંસમાંથી બનેલા કોલસા પાણી ગાળવાનું ઉત્તમ માધ્યમ છે. તે વાતાવરણમાંથી દુર્ગધ દૂર કરે છે. ચીન અને જાપાનમાં બેગમાંથી ગંધ દૂર કરવા ડામરની ગોળી નહીં પણ વાંસના કોલસાનો ટૂકડાં મૂકાય છે. વાંસના રેસા ભેજશોષક છે. વાંસની દિવાલે ઘરને વધુ ઠંડુ રાખે છે. એશિયાના ઘણા દેશોમાં વાંસનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. કૂમળા વાસની વાનગીઓ બને છે.