જાણો કોણ છે બ્રિજભૂષણના પુત્ર કરણ ભૂષણ, જેને ભાજપ આપી શકે છે કૈસરગંજથી ટિકિટ
Updated: May 2nd, 2024
Karan Bhushan Singh: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજકીય પક્ષો વિવિધ તબક્કા હેઠળ આવતી લોકસભા બેઠકો માટે તેમના ઉમેદવારોના નામ પર વિચાર મંથન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની કૈસરગંજ લોકસભા બેઠક પણ તેમાં સામેલ છે.
ઉત્તર પ્રદેશમાં પાંચમા તબક્કામાં મતદાન થશે એટલે કે 20 મેના રોજ મતદાન થશે. હાલ આ બેઠક પરથી ભાજપના બ્રિજભૂષણ શરણ સિંહ સાંસદ છે. જો કે, કૈસરગંજમાંથી કોને ટિકિટ આપવી તે અંગે ભાજપમાં હજુ સુધી કોઈ સહમતિ બની શકી નથી. પરંતુ હવે આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
કૈસરગંજ બેઠકમાં બ્રિજભૂષણના પુત્રને મળી શકે છે ટિકિટ
સૂત્રો અનુસાર ભારતીય જનતા પાર્ટી કૈસરગંજ લોકસભા બેઠક પરથી બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ રદ કરી શકે છે. પાર્ટી દ્વારા આની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી બ્રિજભૂષણના પુત્ર કરણ ભૂષણ સિંહને કૈસરગંજ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે.
કોણ છે કરણ ભૂષણ સિંહ?
બ્રિજભૂષણના નાના પુત્ર કરણ ભૂષણ નો જન્મ 13 ડિસેમ્બર 1990માં થયો હતો. તે ડબલ ટ્રેપ શૂટિંગમાં રાષ્ટ્રીય ખેલાડી રહી ચૂક્યો છે. તેમજ કરણ ભૂષણ સિંહે ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશ કુસ્તી સંઘના પ્રમુખ છે. જો તેમને ટિકિટ મળશે તો આ તેમની પ્રથમ ચૂંટણી હશે. મળતી માહિતી મુજબ કરણ ભૂષણ ત્રીજી મેના રોજ કૈસરગંજથી ઉમેદવારી નોંધાવી શકે છે.
બ્રિજભૂષણ પર મહિલા રેસલરના જાતીય સતામણીના આરોપ
બ્રિજભૂષણ પર ઘણી મહિલા રેસલર્સે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, આ મામલાની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ સિંહ સામે 6 મહિલા રેસલર્સે લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને લગતા કેસમાં 'ચાર્જિસ ઘડવા' પર આદેશ જાહેર કરવા માટે 7 મે, 2024ની તારીખ નક્કી કરી છે. સાંસદ બ્રિજભૂષણ સિંહે પણ તેમના પર લાગેલા તમામ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
બ્રિજભૂષણ કૈસરગંજથી સપાની ટિકિટ પર પ્રથમ ચૂંટણી જીત્યા હતા
બ્રિજભૂષણ શરણ સિંહ ત્રણ વખત ગોંડાથી, બે વખત બહરાઈચ અને એક વખત કૈસરગંજ લોકસભા બેઠકથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ સપાની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે અને જીત્યા પણ છે. બ્રિજભૂષણ સપાની ટિકિટ પર કૈસરગંજ બેઠકથી તેમની પ્રથમ ચૂંટણી જીત્યા હતા.
2008માં યુપીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ક્રોસ વોટિંગના આરોપમાં ભાજપે બ્રિજભૂષણને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. 2009ની ચૂંટણીમાં તેઓ સપાની ટિકિટ પર કૈસરગંજ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. 2014ની લોકસભા ચૂંટણી પહેલા બ્રિજભૂષણ ભાજપમાં પરત ફર્યા અને કૈસરગંજ બેઠક પરથી સંસદમાં પહોંચ્યા. 2019માં પણ તેઓ ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.