નૌકાદળને મળ્યાં નવા પ્રમુખ, દિનેશ ત્રિપાઠી 30 એપ્રિલથી સંભાળશે પદભાર, જાણો તેમની કારકિર્દી
Updated: Apr 19th, 2024
New Navy Chief Dinesh Tripathi: નૌકાદળના નવા પ્રમુખ તરીકે વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીની નિમણૂક કરી દેવામાં આવી છે. હવે તેઓ 30 એપ્રિલે તેમનો નવો પદભાર સંભાળશે. એ જ દિવસે વર્તમાન નેવી ચીફ આર. હરિ કુમાર નિવૃત્ત થશે.
1985માં નેવીમાં જોડાયા હતા
વાઈસ એડમિરલ ત્રિપાઠી હાલમાં નૌકાદળના ઉપપ્રમુખ છે. તેમની 40 વર્ષની લાંબી કારકિર્દીમાં ત્રિપાઠીએ ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. 15 મે 1964ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠી 1 જુલાઈ 1985ના રોજ નેવીમાં જોડાયા હતા. તે રીવાની સૈનિક સ્કૂલ, અને ખડગવાસલામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના પૂર્વ વિદ્યાર્થી રહ્યા છે.
અનેક મેડલથી થઇ ચૂક્યા છે સન્માનિત
દિનેશ ત્રિપાઠી કોમ્યુનિકેશન્સ અને ઈલેક્ટ્રોનિક વોરફેર એક્સપર્ટ છે અને તેમણે સિગ્નલ કોમ્યુનિકેશન ઓફિસર અને ઈલેક્ટ્રોનિક વોરફેર ઓફિસર તરીકે એડવાન્સ્ડ નેવલ શિપ પર સેવા આપી છે. વાઈસ એડમિરલને નોંધપાત્ર અને પ્રશંસનીય કાર્ય માટે અતિ વિશિષ્ટ સેવા મેડલ અને નેવી મેડલ એનાયત કરવામાં આવ્યા છે.