ઉન્નાવમાં ભીષણ અકસ્માત, ટ્રકે બસને મારી ટક્કર, બે મહિલાઓ સહિત આઠના મોત, 20 ઈજાગ્રસ્ત
Updated: Apr 28th, 2024
Road Accident In Unnao : ઉત્તર પ્રદેશના ઉન્નાવ-હરદોઈ પર એક ફુલ સ્પીડે આવેલી ટ્રકે મીની બસને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં બે મહિલાઓ સહિત આઠ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 20 લોકોને તુરંત હોસ્પિટલ ખસેડાયા છે. મળતા અહેવાલો મુજબ ટ્રકે બસને જમણી બાજુએ ટક્કર માર્યા બાદ બસના એક તરફની ચીથરા ઉડી ગયા છે. અકસ્માતમાં ડ્રાઈવરનું પણ મોત થયું છે.
20 વધુ લોકો ઈજાગ્રસ્ત
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં રવિવારે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, બસના બે ફાડિયા થઈ ગયા હતા. અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજી વધી શકે છે.
ડ્રાઈવરોની ભુલના કારણે સર્જાયો અકસ્માત
બાંગરમાઉથી ઉન્નાવ જઈ રહેલી ખાનગી બસ સફીપુર કોતવાલી વિસ્તારના જમાલદીપુર ગામ પાસે પહોંચી હતી. આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતી ટ્રકે તેને સીધી ટક્કર મારી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નજરે જોનારાઓએ કહ્યું કે, ટ્રક અને બસના ડ્રાઈવરોએ પહેલા આગળ જવાની હોડ લગાવી હતી અને એકબીજાએ સાઈડ ન આપતા કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે.