બાલાકોટ એર સ્ટ્રાઈક કરીને અમે પાકિસ્તાનને પણ જાણ કરી હતી, હું પીઠ પાછળ હુમલો નથી કરતોઃ PM મોદી
Updated: Apr 30th, 2024
PM Modi on Balakot Air Strike: લોકસભા ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો. કર્ણાટકના બાગલકોટમાં સોમવારે એક ચૂંટણી સભામાં તેમણે કહ્યું કે, ‘મોદી છાતી કાઢીને આંખમાં આંખ મિલાવીને લડાઈ લડે છે. પીઠ પાછળ હુમલો નથી કરતો.’
અમે બાલાકોટ એર સ્ટ્રાઈક પણ ચોરીછુપી નહોતી કરી
આ રેલીમાં બાલાકોટનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘જ્યાં સુધી હું પાકિસ્તાન સાથે વાત ન થાય ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ અટકાવી દો. પહેલા હું પાકિસ્તાની અધિકારીઓને ફોન પર સ્ટ્રાઈક વિશે જણાવીશ, પરંતુ પાકિસ્તાનના લોકો ફોન પર આવ્યા જ નહીં. તેથી મેં સેનાને રાહ જોવાનું કહ્યું. છેવટે પાકિસ્તાન સાથે 12 વાગે વાત થઈ અને અમે રાતે કરેલા હવાઈ હુમલા વિશે દુનિયાને જણાવ્યું. મોદી કંઈ છુપાવતો નથી, પાછળથી હુમલો નથી કરતો. અમે ખુલ્લેઆમ લડીશું.’
લોકો બાગલકોટને બાલાકોટ સમજી બેઠા હતા
બાગલકોટની ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ એક કિસ્સો યાદ કરતા કહ્યું કે, ‘અમે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી ત્યારે અનેક લોકોને ખ્યાલ નહોતો આવ્યો કે, બાલાકોટ છે ક્યાં. પછી તો તેમણે બાગલકોટને જ બાલાકોટ ગણાવીને અહીં બોમ્બ પડ્યા, અહીં બોમ્બ પડ્યા એવું ચલાવ્યું. અડધો પોણો કલાક આમ જ ચલાવ્યું હતું.’
પુલવામાના આતંકી હુમલાના જવાબમાં કરી હતી એર સ્ટ્રાઈક
26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા તે જ વર્ષે 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાની આતંકીઓએ ભારતીય અર્ધલશ્કરી દળો પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓએ સંરક્ષણ દળોના વાહન પાસે ગનપાઉડર અને વિસ્ફોટકોથી ભરેલા વાહનને વિસ્ફોટ કર્યો હતો.