'પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી...' રાજનાથ સિંહના નિવેદન પર ફારુક અબ્દુલ્લા આ શું બોલી ગયા
Updated: May 6th, 2024
Lok Sabha Elections 2024 | જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ વિવાદિત નિવેદન આપ્યું. તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરી. તાજેતરમાં જ એક ચૂંટણી રેલી દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે PoK અમારું હતું, છે અને રહેશે. આ પહેલા ભારતના વિદેશ મંત્રીએ પણ કહ્યું હતું કે PoK ભારતનો ભાગ છે.
ફારુક અબ્દુલ્લા શું બોલ્યાં...?
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, 'જો સંરક્ષણ મંત્રીએ બોલવું હોય તો ભલે બોલે. આપણે તેમને રોકીએ એવી ક્યાં લાયકાત છે? પરંતુ એ યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરી. તેની પાસે પણ પરમાણુ બોમ્બ છે અને કમનસીબે એ પરમાણુ બોમ્બ આપણી ઉપર જ આવીને પડશે.
સંરક્ષણ મંત્રીએ શું કહ્યું હતું?
રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) પર પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં, પરંતુ તેના પર બળજબરીથી કબજો કરવાની જરૂર નથી કારણ કે ત્યાંના લોકો કાશ્મીરમાં વિકાસ જોયા પછી પોતે ભારતનો ભાગ બનવા માંગશે.