કોંગ્રેસને વધુ એક ઝટકો! દિગ્ગજ OBC નેતા અને 6 વખતના MLA ભાજપમાં જોડાય તેવી આશંકા
Updated: Apr 30th, 2024
Lok Sabha Elections 2024 | ત્રીજા તબક્કાનું મતદાન જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજકારણમાં ઉઠાપટકની સ્થિતિ પણ વધી ગઇ છે. મધ્યપ્રદેશથી કોંગ્રેસ માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે. 6 વખતના ધારાસભ્યએ હવે કેસરિયો ધારણ કરવાની તૈયારી લીધી છે.
મોહન યાદવની હાજરીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા
સૂત્રોના જણાવ્યાનુસાર શ્યોપુર જિલ્લાના વિજયપુરથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા રામનિવાસ રાવ મુખ્યમંત્રી મોહન યાદવની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે. રાવત કેન્દ્ર સરકારમાં પૂર્વ મંત્રી અને વિધાનસભા સ્પીકર નરેન્દ્ર સિંહ તોમર સામે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તે ઓબીસી સમાજનો એક મોટો ચહેરો પણ છે.
પાર્ટીથી નારાજગી હોવાનો દાવો
આ ઉપરાંત રામનિવાસ કોંગ્રેસની પ્રદેશ કમિટીના કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જાણકારોની માનીએ તો તે પાર્ટીથી અનેક દિવસોથી નારાજ ચાલી રહ્યા હતા. તેમની નારાજગીનું મોટું કારણ કોંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા અવગણના અને વિધાનસભામાં વિપક્ષના નેતા ન બનાવવું પણ સામેલ છે. જો તે ભાજપમાં જોડાશે તો આ કોંગ્રેસ માટે મોટો ઝટકો મનાશે.