For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'હું તમને ઠપકો આપીશ અને ભગાડીશ, પરંતુ...', પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કેમ આમ કહ્યું?

Updated: May 8th, 2024

'હું તમને ઠપકો આપીશ અને ભગાડીશ, પરંતુ...', પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કેમ આમ કહ્યું?

Image Source: Twitter

Lok Sabha Elections 2024 : ઉત્તર પ્રદેશની બે હાઈપ્રોફાઈલ બેઠકો અમેઠી અને રાયબરેલીમાં 20 મેના રોજ પાંચમા તબક્કા (લોકસભા ચૂંટણી 2024)માં મતદાન થવા જઈ રહ્યું છે. ભલે  પ્રિયંકા ગાંધી ઉમેદવાર નથી પરંતુ પાર્ટીના પ્રચાર અભિયાનમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા સૌથી આગળ છે. તેમના ભાઈ રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવાર છે, જ્યારે ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્મા અમેઠીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. પ્રિયંકા ગાંધી વાડ્રા આજે નવ નુક્કડ સભા કરવા જઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધી સોમવારે રાયબરેલી પહોંચ્યા હતા. તેમણે છેલ્લા બે દિવસમાં ભૂમેઉ ગેસ્ટહાઉસમાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓ સાથે મેરેથોન બેઠકો કરી હતી. 

રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીની પ્રતિજ્ઞા

એવું કહેવાય છે કે સોમવારે એક મીટિંગમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું હતું કે, ‘હું 18 મે સુધી રાયબરેલીથી નહીં હટું.’ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મે ના રોજ રાયબરેલી અને અમેઠીમાં મતદાન થશે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ જણાવ્યા પ્રમાણે આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'આપણે અમેઠી અને રાયબરેલીથી મજબૂતી સાથે લડવું પડશે. હવે તમારા 24 કલાક મારા છે. હું તમને ઠપકો આપીશ, તમને ભગાડીશ પરંતુ તમારી સાથે મજબૂતીથી ઊભી રહીશ. મારા ઘરના દરવાજા તમારા માટે 24 કલાક માટે ખુલ્લા છે. આ ચૂંટણી બંધારણને બચાવવા માટે છે. ભાજપ તમારી પાસેથી અનામતનો લાભ છીનવવા માંગે છે.'

રાયબરેલીમાં રાહુલ ગાંધી Vs દિનેશ પ્રતાપ સિંહ

1952માં પોતાની પહેલી લોકસભા ચૂંટણી બાદથી કોંગ્રેસ માત્ર ત્રણ વખત રાયબરેલી હારી છે. 1977માં ઈમરજન્સી બાદની ચૂંટણી અને 1996 અને 1998ની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર હારી ગઈ હતી. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપ અને મોદી લહેર હોવા છતાં રાયબરેલી બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે સ્વાસ્થ્યના કારણોસર તેમણે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો અને રાજ્યસભામાં ચાલ્યા ગયા છે. આ વખતે કોંગ્રેસે તેમના પરંપરાગત ગઢમાંથી રાહુલ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ એક સમયે ફિરોઝ ગાંધી અને ઈન્દિરા ગાંધી કરી ચૂક્યા છે. રાયબરેલીમાં રાહુલ ગાંધીનો મુકાબલો યુપીના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ સાથે છે, જેઓ 2019ની ચૂંટણીમાં સોનિયા ગાંધી સામે 1.67 લાખથી વધુ મતોથી હારી ગયા હતા.

અમેઠીમાં કોંગ્રેસ સામે મોટો પડકાર

અમેઠીમાં પણ કોંગ્રેસ સામે મોટો પડકાર છે. એક સમયે આ બેઠકનું પ્રતિનિધિત્વ સંજય ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ કર્યું હતું. વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને કારમી હાર આપી હતી. આ પહેલા રાહુલ ગાંધી આ બેઠક પર સતત ત્રણ વખત જીત્યા હતા. આ વખતે પણ સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસે અહીંથી કે. એલ. શર્માને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જો કે, ઉમેદવાર જાહેર કરવાના ઘણા સમય પહેલાથી પાર્ટી અહીં મોટા પાયે પ્રચાર કરી રહી છે.

Gujarat