For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેજરીવાલ તિહાર જેલથી બહાર આવ્યા, કહ્યું- 'સુપ્રીમ કોર્ટનો આભાર, કાલે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશું'

Updated: May 10th, 2024

કેજરીવાલ તિહાર જેલથી બહાર આવ્યા, કહ્યું- 'સુપ્રીમ કોર્ટનો આભાર, કાલે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશું'

Arvind Kejriwal Bail : દિલ્હી લિકર પૉલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (10 મે) કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને કહ્યું હતું કે, 'તેઓ આગામી 2 જૂને આત્મસમર્પણ કરી દે.' જસ્ટિસ ખન્નાએ તેમને જામીન આપવાનો ચુકાદો સંભળાવ્યો હતો. ત્યારે હવે કેજરીવાલ જેલથી બહાર આવ્યા છે.

કેજરીવાલ જેલથી બહાર આવ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલથી બહાર આવી ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર, તેઓ તિહાર જેલથી પોતાના ઘરે જવા માટે રવાના થયા. ગાડીમાં તેમની સાથે આમ આદમી પાર્ટીના મહાસચિવ સંદીપ પાઠક પણ હાજર છે. તો તેમના પત્ની સુનીતા કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તિહાર પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટનો આભાર, કાલે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશું : કેજરીવાલ

તિહાર જેલથી મુક્ત થયા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આભાર. આપ સૌનો આભાર. કરોડો લોકોનો આભાર. તમારી વચ્ચે આવીને ખુબ સારું લાગી રહ્યું છે. દેશને તાનાશાહીથી બચાવવાનો છે. તાનાશાહી વિરૂદ્ધ સંઘર્ષ છે. કાલે 1 વાગ્યે આપ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરીશું. કાલે 11 વાગ્યે હનુમાન મંદિર, CPમાં મળીશું. વધુમાં વધુ લોકો હનુમાન મંદિર આવશે.

મુખ્યમંત્રી કેજરીવાલના વકીલ રિલીઝ ઓર્ડર લઈને પહોંચ્યા તિહાર જેલ

કેજરીવાલના વકિલ રિલીઝ ઓર્ડર લઈને તિહાર જેલી પહોંચ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલ આજે જ બહાર આવી જશે. જેને લઈને આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વકીલની સાથે જામીન તરીકે સંદીપ પાઠક પણ છે. આમ આદમી પાર્ટીના તમામ નેતા, ધારાસભ્ય, મંત્રી, કોર્પોરેટર, સમર્થક તિહાર જેલની બહાર એકઠા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી નેતા ગોપાલ રાયે તમામને તિહાર જેલની બહાર એકઠા થવાના નિર્દેશ આપ્યા છે.

તિહાર જેલ પહોંચ્યા સુનીતા કેજરીવાલ, જેલથી સીધા પોતાના આવાસ જશે દિલ્હીના CM

મુખ્યમંત્રી પોતાના સિક્યોરિટીની સાથે તિહાર જેલના ગેટ નંબર 3થી બહાર નિકળશે. દિલ્હીના મુખ્યમંત્રી જેલથી સીધા પોતાના આવાસ જશે.

દિલ્હી જવા રવાના થયા ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હી જવા માટે રવાના થયા છે. આજે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેઓ મુલાકાત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુબ ઉત્સાહ છે.

આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ

આજે મુખ્યમંત્રી કેજરીવાલ જેલમુક્ત થશે, ત્યારે દિલ્હીમાં AAP કાર્યકરો તિહાર જેલની બહાર ઉજવણી કરી રહ્યા છે. કાર્યકરો એકબીજાને મીઠાઈઓ ખવરાવી રહ્યા છે.

કેજરીવાલના ઘરની બહાર સ્વાગતની તૈયારીઓ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની બહારના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં તેમના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે.

કેજરીલવાલને પાંચ શરતો સાથે મળ્યા જામીન

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન તો આપ્યા છે પરંતુ તેમાં પાંચ શરતો રાખવામાં આવી છે. જે નીચે મુજબ છે. 

1. જામીન બોન્ડ માટે 50 હજાર રૂપિયા જમા કરાવવા પડશે.

2. તેઓ મુખ્યમંત્રી કાર્યાલય કે સચિવાલય જઈ શકશે નહીં.

3. સત્તાવાર ફાઈલો પર સહી કરી શકશે નહીં. ખૂબ જરૂરી ફાઇલ પર સહી કરવા માટે LGની પરમીશન લેવી લડશે.

4. કેસમાં પોતાની ભૂમિકા મામલે કોઈ ટિપ્પણી નહીં કરી શકે.

5. કોઈ પણ સાક્ષી સાથે વાતચીત નહીં કરી શકે.

કપિલ સિબ્બલે કોર્ટમાં કરી આ દલીલ... 

કેજરીવાલ વતી કપિલ સિબ્બલે સુપ્રીમકોર્ટમાં દલીલો કરી હતી. તેમણે ઈડીની દલીલ પર જવાબ આપતાં કહ્યું હતું કે 'ઇડીની દલીલ યોગ્ય છે કે ચૂંટણી પ્રચાર કરવો એ મૂળભૂત અધિકાર હેઠળ નથી આવતો. પરંતુ હાં, કાયદા અનુસાર જો કોઈને સજા ફટકારાઈ હોય અને કોર્ટ કહે કે અમે તેના પર સ્ટે આપીએ છીએ તો તે ચૂંટણી પ્રચારમાં જોડાઈ શકે છે.'

આમ આદમી પાર્ટીને મોટી રાહત 

સુપ્રીમકોર્ટનો આ ચુકાદો કેજરીવાલ માટે લોકસભા ચૂંટણી વચ્ચે મોટી રાહત મનાઈ રહ્યો છે. હવે તેઓ ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં પ્રાણ ફૂંકી શકશે. તેઓ બાકીના તબક્કાઓના ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લઈ શકશે. તેમને 1 જૂન સુધીનો સમય મળી ગયો છે અને 2 જૂને તેમને ફરી આત્મસમર્પણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

અગાઉ સુપ્રીમકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો 

ઉલ્લેખનીય છે કે સુનાવણીના એક દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. ઈડી અને કેજરીવાલના વકીલ વચ્ચે સુપ્રીમકોર્ટમાં લાંબા સમય સુધી દલીલો ચાલી હતી. અગાઉ સુપ્રીમકોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખી 10 મેના રોજ સુનાવણી નક્કી કરી હતી આજે આખરે ચુકાદો આપી દીધો. જોકે સુપ્રીમકોર્ટે આખરે કેજરીવાલને વચગાળાની જામીનનો નિર્ણય આપતાં જ આપના કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી અને તેઓ સુપ્રીમકોર્ટના પરિસરમાં જ આમ આદમી પાર્ટી જિંદાબાદની નારેબાજી કરવા લાગ્યા હતા. 

Gujarat