લોકસભા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની કરી જાહેરાત, લદાખ અને પટણા સાહિબ બેઠક પર જાણો કોને મળી ટિકિટ
Updated: Apr 23rd, 2024
Lok Sabha Elections 2024 : ભાજપે લોકસભા ચૂંટણી 2024ને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. આજે બંને પાર્ટીએ એક-એક ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં લદાખના હાલના સાંસદ જમયાંગ સેરિંગ નામગ્યાલની ટિકિટ કાપી નાખી છે. મંગળવાર (23 એપ્રિલ, 2024)એ પાર્ટી તરફથી આ બેઠક પર નવા ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે ઉમેદવારની 14મી યાદી જાહેર કરી છે. જેમાં ભાજપની CECએ આ બેઠક પર તાશી ગ્યાલસનના નામ પર મહોર લગાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને હેડક્વાર્ટર પ્રભારી અરૂણ સિંહ તરફથી અપાયેલા નિવેદનમાં આ માહિતી અપાઈ છે.
કારગિલ અને લેહ જિલ્લા સુધી ફેલાયેલા સંસદ ક્ષેત્રમાં લગભગ ત્રણ લાખ મતદાતાઓ છે. લદાખ બેઠક પર ઉમેદવારીની છેલ્લી તારીખ 3 મે, 2024 છે. જ્યારે નામ પરત લેવાની છેલ્લી તારીખ 6 મે છે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મે, 2024ના રોજ મતદાન થશે.
અંશુલ અવિજીતને કોંગ્રેસે બિહારની પટણા સાહિબ બેઠકથી આપી ટિકિટ
કોંગ્રેસે પટણા સાહિબ બેઠક પર પૂર્વ સ્પીકર મીરા કુમારના દીકરા અંશુલ અભિજીતને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ આજે 9મી બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. તેમનો મુકાબલો ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સાથે છે. આ પહેલા ત્રણ બેઠક ભાગલપુરથી અજીત શર્મા, કટિહારથી તારિક અનવર અને કિશનગંજથી મો.જાવેદને ટિકિટ આપી હતી. તો સોમવારે પાંચ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. અશુલ કુમારના નામની ચર્ચા પહેલાથી જ હતી.
ગઠબંધનમાં કોંગ્રેસને મળેલી 9 બેઠકોમાંથી 3 બેઠકો પર સીનિયર લીડર અને મંત્રીના દીકરાને મોકો મળ્યો છે. જેમાં અંશુલ કુમાર સિવાય નીતિશ સરકારમાં મંત્રી મહેશ્વર હજારીના દીકરા સની હજારી અને પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહના પુત્ર આકાશ સિંહ સામેલ છે.