પન્નુન કેસમાં વિશ્વસનીય પુરાવાનો અભાવ છે : તેમ છતાં અમેરિકા તે દ્વારા ભારતનું અપમાન કરે છે : રશિયા
Updated: May 10th, 2024
- રશિયાનાં પ્રવક્તા મારિયા ઝાખારોવાએ પશ્ચિમ ઉપર નવ સંસ્થાનવાદનો ગંભીર આક્ષેપ મૂક્યો
મોસ્કો : ત્રાસવાદી તરીકે ભારતે જેને જાહેર કરી દીધો છે તેમા અલગતાવાદી ખાલીસ્તાનવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના નિષ્ફળ પ્રયાસ અંગે અમેરિકાએ ભારત ઉપર મુકેલા આક્ષેપોને રદિયો આપતાં, રશિયાએ પૂછ્યું હતું કે જો એમ જ હોય, તો અમેરિકા ભારત વિરૂદ્ધ વિશ્વસનીય પુરાવા શા માટે આપતું નથી ? કે આપી શક્તું નથી ? તેનું કારણ તે છે કે તેઓ વિશ્વસનીય પુરાવાનો જ અભાવ છે. આ સાથે રશિયાએ ભારતનું તે આક્ષેપો દ્વારા અપમાન કરવાનો પણ આક્ષેપ મુક્યો હતો.
રશિયાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝાખારોવાએ આ સાથે, અમેરિકા અને પશ્ચિમના દેશો ઉપર નવ સંસ્થાનવાદનું માનસ ધરાવવાનો પણ ગંભીર આક્ષેપ મુક્યો હતો, ચીને કહ્યું હતું કે ભારત ઉપર મુકાયેલા તે આક્ષેપો તદ્દન આધારીત છે.
પત્રકારોએ જ્યારે મારિયા ઝાખારોવાને વોશિંગ્ટન પોસ્ટના તે અહેવાલ વિષે પૂછ્યું કે જેમાં જી.એસ.પન્નુનની હત્યાના પ્રયાસમાં ભારતીય નાગરિકની સંડોવણી વિષે તમારે શું કહેવાનું છે ત્યારે તેઓએ કહ્યું 'અમોને જે માહિતી મળી છે તે મુજબ વોશિંગ્ટને હજી સુધી કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી કે જે દ્વારા જી.એસ.પન્નુનની હત્યામાં કોઈ ભારતીય નાગરિક સંડોવાયેલો હોય. માટે પુરાવાના અભાવ છતાં તે વિષે મંતવ્ય બાંધી લેવું તે અસ્વીકાર્ય છે.'
તેઓએ વધુમાં કહ્યું કે અમેરિકા નિયમિત રીતે નવી દિલ્હી ઉપર આધારહીન આક્ષેપો કરે છે. તેઓ માત્ર ભારત જ નહી પરંતુ અન્ય અનેક દેશો ઉપર આવા આધારહીન આક્ષેપો કરે છે તેમજ ધાર્મિક સ્વતંત્રતા વિષેના અમેરિકાનાં મંતવ્યો ગેરસમજ ભરેલાં છે. ભારત ઐતિહાસિક રીતે ધર્મ સહીષ્ણુ રહ્યું છે. તેના વિશે આમ બોલવું તે ભારતનાં અપમાન સમાન છે. વાસ્તવમાં અમેરિકાનું આ માનસ નવ સંસ્થાનવાદનું પ્રતિબિંબ પાડે છે. તેથી સંસ્થાનવાદ સમયનું ગુલામોના વ્યાપાર સમયનું અને શાહીવાદ સમયનું તેમનું માનસ આથી ખુલ્લું પડી જાય છે.
આ સાથે આ આક્ષેપોને ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પણ અમેરિકા ઉપર આક્ષેપ મુકતાં ઝાખારોવાએ કહ્યું હતું કે આ રીતે ભારતની આંતરિક બાબતોમાં અને વિશેષત: લોકસભાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરે તેઓ ભારતની આંતરિક રાજકીય પરિસ્થિતિને બરોબર ચૂંટણી સમયે જ ગુંચવી રહ્યા છે.
રશિયાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝાખારોવા આ સાથે જાણે છે કે મેદાનમાં આવી ગયાં હતાં, અને કહ્યું હતું કે તેઓનાં (વોશિંગ્ટન-પોસ્ટનાં) લખાણો ભારતનું જુલ્મી શાસન હોવાની વાત કરે છે પરંતુ વોશિંગ્ટન જેવું કોઈ જુલ્મી શાસન દેશના આંતરિક ભાગમાં કે અંતર-રાષ્ટ્રીય બાબતોમાં જોવા મળતું નથી.