For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનમાં કોઈ સુરક્ષિત નથી : હવે જાપાનીઓ ઉપર પણ આત્મઘાતી હુમલો : બેના મોત

Updated: Apr 20th, 2024

પાકિસ્તાનમાં કોઈ સુરક્ષિત નથી : હવે જાપાનીઓ ઉપર પણ આત્મઘાતી હુમલો : બેના મોત

- પહેલા દૂર દૂરના વિસ્તારોમાં હુમલા થતા હતા હવે તો દેશનાં મોટાં અને મહત્વનાં શહેરોમાં પણ આત્મઘાતી હુમલા થાય છે

કરાચી : પાકિસ્તાનમાં આખરે સુરક્ષિત કોણ છે ? તેવો પ્રશ્ન હવે દુનિયાના મહત્વના દેશોમાં ચર્ચાઈ રહ્યો છે. પહેલાં દૂર દૂરના પ્રદેશોમાં આતંકી હુમલા થતા હતા, હવે તો દેશનાં મોટાં અને મહત્વનાં શહેરોમાં પણ આવા હુમલા થઈ રહ્યા છે.

આજે (શુક્રવારે) સવારે સિંધના પાટનગર કરાચીના લાંધી-વિસ્તારમાં જાપાની નાગરિકોને લઈ જતી એક મોટરને નિશાન બનાવવામાં આવી હતી. તેમાં બે લોકોનાં મોત થયા હોવાના ખબર મળ્યા છે. જોકે, જાપાની નાગરિકો સુરક્ષિત છે.

પ્રાપ્ય માહિતી પ્રમાણે પોલીસે કરેલી જવાબી કાર્યવાહીમાં આત્મઘાતી હુમલાખોર અને બીજા બે આતંકવાદીઓના મોત થયા.

પોલીસ પ્રવકતા અલરાહ હુસૈન બલોએ જણાવ્યું હતું કે તે પાંચે જાપાની નાગરિકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે, સાથે તેમના રક્ષણ માટે પોલીસને તૈનાત રાખવામાં આવી છે. જોકે હજી સુધી કોઈ આતંકી સમુહે આ હુમલાની જવાબદારી લીધી નથી.

પાકિસ્તાનમાં આવા ભીષણ હુમલા થતાં જ રહે છે. જેમાં પાકિસ્તાને પોતે જ પાળી-પોષીને વિકસાવેલાં આતંકી સંગઠનો તાલિમાન અને અલ કાયદા સાથે જોડાયેલાં છે તે ઉપરાંત અલગતાવાદી જૂથ બલુચીસ્તાન લિબરેશન આર્મી પણ પાકિસ્તાનમાં ઠેક-ઠેકાણે હુમલા કરે છે.

તે સર્વવિદિત છે કે, છેલ્લાં કેટલાએ વર્ષોથી ચીની નાગરિકોને તો પાકિસ્તાનમાં નિશાન બનાવવામાં આવતા હતા. પરંતુ આ પહેલી વાર જ બન્યું છે કે જ્યારે જાપાની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હોય.

કરાચી પોલીસે પણ જણાવ્યું છે કે, તે આત્મઘાતી હુમલો હતો. જીયો ન્યૂઝના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં એક વાહનને નુકસાન પહોંચ્યું છે. પોલીસે આ હુમલા અંગે જણાવ્યું છે કે, આતંકીએ શરીર ઉપર આત્મઘાતી જેકેટ બાંધ્યું હતું અને એક હેન્ડ ગ્રેનેડ પણ બાંધ્યો હતો. આ હુમલો તે જાપાનીઓને નિશાન બનાવી કરાયો હતો. તેઓ એક એક્ષ્પોર્ટ યુનિટમાં કામ કરતા હતા.

આ વિસ્ફોટથી આસપાસના લોકોને પણ ઈજાઓ થઈ હતી તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

Gujarat