હુમલામાં ઈઝરાયલનો હાથ હોવાના પૂરાવા હજી મળ્યા નથી, ઈરાનના વિદેશ મંત્રી
Updated: Apr 20th, 2024
Image Source: Twitter
Hossein Amir-Abdollahian: ઈરાનના ઈસાફહાન શહેર પર ઈઝરાયલે કરેલા ડ્રોન અને મિસાઈલ એટેકને લઈને ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યુ છે કે, 'હજી અમારી તપાસ ચાલી રહી છે અને આ હુમલા પાછળ ઈઝરાયલનો હાથ હોવાના પૂરાવા અમને મળ્યા નથી.'
તેમણે સાથે સાથે ધમકી પણ આપી હતી કે, 'જો ઈઝરાયલે આ હુમલો કર્યો હોવાના પૂરાવા અમને મળ્યા તો ઈરાન તાબડતોબ અને જડબાતોડ જવાબ આપશે. હુમલાની તપાસ ચાલી રહી છે અને હજી સુધી અમને ઈઝરાયલ તેના માટે જવાબદાર હોવાના નક્કર પૂરાવા સામે આવ્યા નથી. મીડિયામાં જે પણ અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે તે સાચા નથી. પરંતુ ઈઝરાયલ જો ફરી કોઈ પણ રીતે અમારા પર હુમલો કરશે અથવા તો ઈરાનના હિતમાં ના હોય તે પ્રકારની કાર્યવાહી કરશે તો ઈરાન જવાબ આપવામાં સ્હેજ પણ વિચાર નહીં કરે.'
ઉલ્લેખનીય છે કે, અમેરિકન મીડિયાએ ઈઝરાયલ દ્વારા ઈરાન પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો.
દરમિયાન અમેરિકાના એક અધિકારીએ એવુ નિવેદન આપ્યુ છે કે, 'ઈઝરાયલે ઈસાફહાનમાં ઈરાનની ન્યુક્લિયર સાઈટસને નહીં પરંતુ એર ડિફેન્સ રડારને ટાર્ગેટ કર્યા હતા. જે ન્યુક્લિયર સાઈટસની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે હુમલામાં રડાર તબાહ થઈ ગયા છે. જોકે ઈઝરાયલે કરેલા હુમલા પાછળનો ઈરાદો ઈરાનને પોતાની ક્ષમતા દર્શાવવાનો હતો. ઈઝરાયલ હાલની ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વધારે વણસે તેવુ ઈચ્છતુ નથી.'