બી.એન.પી. નેતાઓની પત્નીઓ પાસે કેટલી ભારતીય સાડીઓ છે ? ઇન્ડિયા આઉટ કેમ્પેનવાળાને શેખ હસીનાનો પ્રશ્ન
Updated: Mar 29th, 2024
- બુધવાર 27-3ના બાંગ્લાદેશના આઝાદી દિને શેખ હસીનાએ ભારત વિરોધીઓને કહ્યું : આપણાં ભોજનમાં પણ ભારતીય મસાલા વપરાય છે
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં વિપક્ષી નેતાઓ દ્વારા ચલાવાતાં ભારત વિરોધી આંદોલન, 'ઇંડીયા-આઉટ' ઉપર બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ તીવ્ર પ્રહારો કર્યા હતા. વિપક્ષો પૈકી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.)ના નેતાઓને પૂછ્યું કે, તમારાં ઘરમાં જુઓ કે, તમારાં પત્નીઓે કઇ સાડી પહેરી છે ? તે સાડીઓ ભારતીય ઉત્પાદનો છે. આ સાડીઓ તમે (વિપક્ષી નેતાઓ) સળગાવવા તૈયાર છો ? જો તેમ કરી શકો તો જ, 'ઇંડીયા આઉટ' કેમ્પેન ચલાવી શકશો.
વાસ્તવમાં ગત સપ્તાહે મુખ્ય વિપક્ષી પાર્ટી બી.એન.પી.ના સંયુક્ત મહામંત્રી રૂહુલ કબીર રીઝવીએ ભારત પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશના લોકોને નહીં પરંતુ આવામી લીગ (શેખ મુજવીર રહેનાને સ્થાપેલી તેવી શેખ હસીનાની પાર્ટી)નું સમર્થન કરે છે. આ કારણસર જ બી.એન.પી. અને તેના સાથી પક્ષો ઈંડીયા આઉટની ઝૂંબેશ ચલાવી રહ્યા છે, અને ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા આંદોલન ચલાવે છે.
બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિને આપેલાં રાષ્ટ્ર જોગ પ્રવચનમાં શેખ હસીનાએ વધુમાં કહ્યું હતું કે જેઓ આ આંદોલન ચલાવે છે તેમની પત્નીઓ તો ભારતીય સાડીઓ પહેરે છે. કાશ્મીરમાં બનેલી શાલ ઓઢે છે. તેટલું જ નહીં પરંતુ ભોજનમાં જે મસાલા વપરાય છે તે પણ ભારતમાંથી આયાત થયેલા છે. તે તેઓ કેમ ભૂલી જાય છે. ભારતીય મસાલા સિવાયનું ભોજન ભાવશે ? નહીં કદી નહીં. માટે ભારત વિરોધી આંદોલન ઈંડીયા આઉટ ચલાવનારાઓ ખોટે ખોટી ઝુંબેશ ચલાવી રહ્યા છે.