રફાહ ખાલી કરવાના ઇઝરાયલના હુકમ પછી હમાસે યુદ્ધ-વિરામ માટેની દરખાસ્ત સ્વીકારી
Updated: May 8th, 2024
- ઇઝરાયલ જો ગાઝામાંથી દળો પાછા ખેંચે તો બંધકોને નાના નાના જૂથોમાં મુક્ત કરવા સાથે શાંતિ મંત્રણામાં ભાગ લેવા તૈયારી દર્શાવી
જેરૂસલેમ : હમાસે સોમવારે સાંજે જણાવ્યું હતું કે, સતત સાત મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં ઇજીપ્ત અને કટારે રજૂ કરેલી યુદ્ધ વિરામની દરખાસ્ત સ્વીકારવા તૈયાર છે. હમાસે તેનો આ નિર્ણય ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં રહેલા આ શહેરના ૧ લાખ જેટલા નાગરિકોને શહેર ખાલી કરવા કરેલા હુકમ પછી જાહેર કર્યો હતો. ઇઝરાયલે નાગરિકોને આ શહેર ખાલી કરવાના હુકમનો સીધો જ અર્થ તે થાય છે કે, ઇઝરાયલ ગમે તે ક્ષણે ગાઝા પટ્ટીની દક્ષિણે રહેલા આ શહેર ઉપર હુમલો કરે તેવી સંભાવના છે.
જો કે હમાસે યુદ્ધ વિરામ અને તેને પગલે ઇજીપ્ત કટાર દ્વારા રજૂ કરાયેલી શાંતિ મંત્રણાની દરખાસ્તમાં સ્વીકારી તેમાં સામેલ થવાની તેની તૈયારીનો સંકેત આપ્યો છે. જો કે ઇઝરાયલે આ વિષે કોઈ પ્રત્યાઘાતો આપ્યા નથી.
ઇજીપ્ત અને હમાસના અધિકારીઓએ કહ્યું હતું કે તે યુદ્ધ વિરામ પણ તબક્કાવાર થશે. જે પ્રમાણે હમાસ નાના-નાના જથ્થાઓમાં તેના બંધકોને મુક્ત કરશે તેમ તેમ તે ગાળામાં બંધકોને મુક્ત કરાશે.
જો કે હજી સુધી તે વાત સ્પષ્ટ થતી નથી કે હમાસે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલ દ્વારા તેના તમામ સૈનિકોને હઠાવી દેવા મુકેલી શર્ત કેટલી હદે ઇઝરાયલ સ્વીકારશે.
હમાસે આ નિવેદન પ્રસિદ્ધ કર્યા પછી તેના સર્વોચ્ચ નેતા ઇસ્માઇલ હનીયાહે ફોન દ્વારા કટારના વડાપ્રધાન અને ઇજીપ્તના જાસૂસ વિભાગના મંત્રીને આ હકીકત જણાવી હતી.
ઉલ્લેખનીય તે પણ છે કે અમેરિકા સહિત ઇઝરાયલના સાથી દેશોએ ઇઝરાયલને રફાહ ઉપર હુમલો ન કરવા જણાવ્યું હતું.
અમેરિકાના પ્રમુખ જો બાયડેને રફાહ ઉપર હુમલો ન કરવા ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ ઉપર ભારપૂર્વક દબાણ કર્યું હતું. બીજી તરફ સઉદી અરબસ્તાનના વિદેશ વિભાગે એક નિવેદન દ્વારા રફાર ઉપર હુમલો ન કરવા ચેતવણીપૂર્વક જણાવતા કહ્યું હતું કે ઇઝરાયલની તે કાર્યવાહી ગાઝા વિસ્તારને સુવ્યવસ્થિત રીતે લોહીયાળ કરવાની કાર્યવાહી બની રહેશે.