For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ભારત સાથે મૈત્રી રાખો તેમાં જ ભલું છે' : પાકિસ્તાનના અગ્રીમ વ્યાપારીની શાહબાઝ શરીફને સલાહ

Updated: Apr 25th, 2024

'ભારત સાથે મૈત્રી રાખો તેમાં જ ભલું છે' : પાકિસ્તાનના અગ્રીમ વ્યાપારીની શાહબાઝ શરીફને સલાહ

- પાકિસ્તાનની આર્થિક રાજધાની, કરાંચીમાં મળેલી પરિષદમાં આરીફ હબીબે અર્થતંત્ર સુધારવા માટે રાજકીય સ્થિરતા ઉપર ભાર મૂક્યો

કરાંચી : પાકિસ્તાનના વ્યાપાર જગતના અગ્રણીઓએ દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે વડાપ્રધાન શાહબાઝ શરીફને ભારત સાથે સંબંધો સુધારવા તથા તેની સાથે વ્યાપાર- વાણિજ્ય વધારવા અનુરોધ કર્યો હતો. શરીફ સાથેના એક સંવાદ સત્રમાં તેઓએ કહ્યું કે, કેશ- સ્ટ્રોક (રોકડની ખેંચ) અનુભવતા આપણા દેશને ભારત સાથે સંબંધો સુધારવાથી અને તેની સાથે વ્યાપાર વધારવાથી આર્થિક લાભ થશે.

અહીંના 'સિંધ હાઉસ'માં બુધવારે યોજાયેલી એક ગોષ્ટિમાં વ્યાપારીઓએ દેશની આર્થિક સ્થિતિ સુધારવાના વડાપ્રધાનના દ્રઢ સંકલ્પની પ્રશંસા કરી હતી પરંતુ સાથે કહ્યું હતું કે, અર્થતંત્ર સુધારવા માટે સૌથી પહેલી જરૂર રાજકીય સ્થિરતાની છે.

સમાચાર પત્ર ડૉનના જણાવ્યા પ્રમાણે દેશમાં નિકાસ વધારવા માટે આ અગ્રીમ વ્યાપારીઓ સાથે બેઠક યોજી હતી. જો કે, તેમના તે સંકલ્પને વ્યાપાર ઉદ્યોગ જમીનની આશંકાઓનો સામનો કરવો પડયો હતો.

પાકિસ્તાની મૂડીબજારની દિગ્ગજ કંપની આરીફ હબીબ જૂથના ચેરમેન અને પાકિસ્તાનના 'ઝૂનઝૂનવાલા' કહેવાતા આરીફ હબીબે કહ્યું : 'કાર્યભાર સંભાળ્યા પછી આપે કેટલાક કરારો કર્યા છે તેના સારા પરિણામ પણ આપવામાં આવ્યા છે. આઇ.એમ.એફ. સાથે સાધેલી સમજૂતી તે પૈકીની એક છે પરંતુ મારું સૂચન છે કે, ભારત સાથે વ્યાપાર સંબંધો ફરી બાંધો તેમાં જ આપણું ભલું છે. આપણા અર્થતંત્રને તેથી સારો એવો લાભ થશે. બીજું આપે અડિયલ જેલનિવાસી (પી.ટી.આઇ.)ના પ્રમુખ ઇમરાનખાન સાથે પણ હાથ મેળવવા જોઈએ. અને ઉચ્ચતર સ્તરે વ્યવસ્થા સારી રીતે ગોઠવવી પડે મને વિશ્વાસ છે કે આપ તે કરી  જ શકશો.'

વાસ્તવમાં ૨૦૧૯માં ભારતે કાશ્મીર અંગેની સંવિધાનની કલમ ૩૭૦ દૂર કર્યા પછી તેનો વિશેષ દરજ્જો દૂર કરી જમ્મુ કાશ્મીર અને લડાખ એમ બે ભાગમાં વહેંચી તે બંનેને કેન્દ્રશાસિત પ્રદેશો જાહેર કર્યા ત્યારથી પાકિસ્તાને ભારત સાથે વ્યાપારી સંબંધો બંધ કર્યા અને રાજદ્વારી સંબંધો ઘટાડી નાખ્યા પરંતુ તેને જ નુકસાન થયું છે.

શરીફે આ વ્યાપારીઓને વહેલામાં વહેલી તકે ઇસ્લામાબાદ બોલાવી મુદ્દાઓનો ઉકેલ કરવા વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.

Gujarat