ગુજરાતમાં માર્ગ અકસ્માતની ત્રણ ઘટના, દંપતી સહિત પાંચના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
Updated: Apr 29th, 2024
Gujarat Road Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (29મી એપ્રિલ) રાજ્યમાં ત્રણ ગોઝારા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના જીવ ગયા છે. બગસરા-જેતપુર હાઈવે પર ખાનગી બસ પલટી મારી જતા બે લોકોના મોત થયા હતા. બીજો અકસ્માત જામનગરના નારણપર ગામના પાટીયા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર પતિ-પત્ની મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રીજી ઘટનામાં કલોલ-અડાલજ હાઈવે પર શેરથા નજીક પસાર થઈ રહેલ મોપેડને ટ્રકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.
કલોલ-અડાલજ હાઈવે પર ટ્રકની ટક્કરે મોપેડ ચાલકનું મોત
અમદાવાદ મહેસાણા ટોલ રોડ પર અકસ્માતની સંખ્યા વધી ગઈ છે. દંતાલી ગામમાં રહેતા હરેશ અમરત પંચાલ પોતાનું મોપેડ લઈને કલોલ-અડાલજ હાઈવે પરના શેરથા નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મોપેડ ચાલકને પાછળથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. જેમાં મોપેડ ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
બગસરા-જેતપુર હાઈવે પર મુસાફરો ભરેલી બસ પલટી
મળતી માહિતી અનુસાર, અમરેલીથી 35 મુસાફર ભરીને એક ખાનગી બસ વિસાવદર તરફ જઈ રહી હતી, ત્યારે બગસરા-જેતપુર હાઈવે પર બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં બે મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 15થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જામનગર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત
જામનગરના નારણપર ગામના પાટીયા નજીક હિટ એન્ડ રન સામે આવી હતી. જેમાં પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે બાઈક પર સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. જેમાં પતિ-પત્નીના કમકમાટી ભર્યા મોત થયા હતા. પોલીસે કારચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.