For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંકલન સમિતિની બેઠક બાદ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું મોટું એલાન, 'આવતીકાલથી...'

Updated: Apr 19th, 2024

સંકલન સમિતિની બેઠક બાદ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું મોટું એલાન, 'આવતીકાલથી...'

Parshottam Rupala : અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. બેટકમાં રમજુબા, કરણસિંહ ચાવડા, તૃપ્તીબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. આજે ક્ષત્રિય સમાજ દ્વારા અપાયેલું અલ્ટિમેટમ પૂર્ણ થયું છે. ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રૂપાલા સામે વધુ એક આંદોલનની જાહેરાત કરાઈ છે. ક્ષત્રિયોનો રોષ હજુ પણ યથાવત્ છે અને તેઓ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં છે.

અમદાવાદમાં બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સમિતિએ આગામી રણનીતિ અને આંદોલન અંગે માહિતી આપી છે. સમિતિએ તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની અને પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. સમિતિએ કહ્યું કે, 'રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. રૂપાલાના વિરોધમાં પાંચ ઝોનમાં પાંચ 'ધર્મ રથ' કાઢવામાં આવશે. સંઘર્ષ લાંબો હોવાથી લીગલ ટીમ પણ બનાવવામાં આવશે.'

રૂપાલાને હરાવવાનો ક્ષત્રિય સમાજે કર્યો દાવો

રાજકોટ બેઠક પર વિરોધ કરવા માટે ખાસ કમિટી બનાવી છે. પરશોત્તમ રૂપાલાને 100 ટકા હરાવવામાં આવશે. 5 લાખની લીડથી જીતની વાત ભાજપ ભૂલી જાય. ગુજરાતમાં ભાજપને બોયકોટ કરવામાં આવશે.'

રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય મહિલાઓ કરશે ઉપવાસ આંદોલન : કરણસિંહ ચાવડા

કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, 'આજથી રાજપૂત સમાજ ઓપરેશન ભાજપ શરૂ કરશે. 120 સંસ્થાના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા છે. કાલથી તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. આવતીકાલથી રોજ એક જિલ્લામાં ક્ષત્રિય મહિલા પ્રતિક ઉપવાસ કરશે. મતદાનના દિવસ સુધી ક્રમશઃ ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે.

રૂપાલાના વિરોધમાં પાંચ ઝોનમાં પાંચ 'ધર્મ રથ' કાઢવામાં આવશે : કરણસિંહ ચાવડા

કાળા વાવટા મુદ્દે જાહેર કરાયેલા પરિપત્રનો વિરોધ કરીશું. અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામાનો વિરોધ કરીએ છીએ. કેસરિયો ધ્વજ રાખી યુવાનો વિરોધ કરશે. ભાજપના પ્રતિનિધિઓના પ્રચારનો વિરોધ કરીશું. ક્ષત્રિયો પાંચ ઝોનમાં પાંચ ધર્મરથ કાઢશે. આ ધર્મ રથના માધ્યમથી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકોને સમજાવવામાં આવશે. કચ્છમાં આશાપુરા મંદિરથી રથ નીકળશે. જિલ્લા સમિતિઓ ધર્મરથનું આયોજન કરશે. વિરોધ માટે યુવાનોની સમિતિ બનાવાશે.

ચાર જિલ્લામાં ક્ષત્રિય સમાજે પરિણામલક્ષી વિરોધની કરી જાહેરાત

ક્ષત્રિય સમાજે તમામ બેઠકો પર વિરોધ કરવાની જાહેરાત કરી છે. બોયકોટ ભાજપ અને 'મત એ જ શસ્ત્ર'નું ક્ષત્રિય સમાજે નવું સૂત્ર આપ્યું છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા પર ક્ષત્રિય સમાજ વધુ આક્રમક રીતે કાર્યક્રમો આપશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં પરિણામલક્ષી વિરોધની જાહેરાત કરવામાં આવી છે. લોકશાહીના ઢબે શાંતિથી વિરોધ કરાશે.

Gujarat