'પક્ષનું કરજ ચૂકવી ફરજ અદા કરો..' વિરોધ વચ્ચે ભાજપના દબાણથી વફાદાર ક્ષત્રિયો સામે ધર્મસંકટ
Updated: Apr 26th, 2024
Lok Sabha Elections 2024 | લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયો વિરુધ્ધ ટિપ્પણી કર્યા પછીય પરષોત્તમ રૂપાલાની તરફેણ કરવી ભાજપ માટે અઘરૂ સાબિત થઈ રહ્યું છે. હવે ભાજપને ગળે હાડકુ ભરાયુ છે. જો ક્ષત્રિયો એકતરફી ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તો પરિણામ પરં ભલે અસર થાય નહીં પણ ભાજપને ધાર્યો લક્ષ્યાંક પાર પડી શકે નહીં.
આ જોતાં હવે ભાજપ ક્ષત્રિયોના મનામણા માટે ધમપછાડા કરી રહ્યુ છે. એટલુ જ નહીં, ક્ષત્રિયો પીછેહટ કરવાના મતમાં નથી એટલે ભાજપે હવે રાજપૂતોની સામે 'ભાજપૂતો'ને મેદાને ઉતારવા નક્કી કર્યું છે. આ જોતા ભાજપ હાઈકમાન્ડે પર હવે ભાજપ તરફી ક્ષત્રિય ધારાસભ્યો, નેતાઓ પર પર દબાણ કરી સૂચના આપી છે કે, પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી. હવે પક્ષનું કરજ ચૂકવો.
રૂપાલાની ટિકિટ રદ ન કરતાં હવે ક્ષત્રિય આંદોલન પાર્ટ-રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, અંબાજીમાં ધર્મયાત્રા શરૂ થઈ ચૂકી છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોનો જનસમૂહ ઉમટી પડયો છે. આ ઉપરાંત શહેરો તો ઠીક, ગ્રામ્ય સ્તરે પણ ક્ષત્રિયોનો વિરોધ વંટોળ યથાવત રહ્યો છે. ક્ષત્રિય આંદોલન પાર્ટ-રનિ આક્રમકતા બાદ ભાજપ પ્રદેશ નેતાગીરી દોડતી થઈ છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી પ્રદેશ મહામંત્રી રત્નાકર-ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આણંદથી માંડીને કચ્છ સુધી ક્ષત્રિય નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી મનામણાંના પ્રયાસો કર્યા હતાં પણ હજુ કઈ મેળ પડતો નથી. આ જોતાં હવે ભાજપે અસલી રંગ દેખાડયો છે. હવે ભાજપે ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી છે. રૂપાલા મુસ્વમાનની લડાઇ લડતાં રાજપૂતો સામે ભાજપ તરફી ક્ષત્રિયો જેને 'ભાજપૂતો 'નામ અપાયુ છે તેમને મેદાને ઉતારવા નક્કી કરાયુ છે.
ભાજપ તરફી ક્ષત્રિયોને સ્પષ્ટ સૂચન અપાઈ છે કે, ક્ષત્રિય સમાજના નામે પદ ભોગવ્યાં, રાજકીય - સામાજીક પ્રતિષ્ઠા મેળવી, પણ હવે જયારે ભાજપ મુશ્કેલીમાં મુકાયુ છે ત્યારે પક્ષનું કરજ અદા કરશે. એવા આદેશ કરાયાં છેકે, ભાજપ વિરૂધ્ધ મતદાન ન થાય તેનું ધ્યાન રાખો. ગામડામાં ક્ષત્રિય સમાજ સાથે બેઠક કરો.
ભાજપે માફી માંગી છે તેવુ સમજાવી ક્ષત્રિયોનો રોષ થાળે પાડો સાથે સાથે વિરોધ પ્રદર્શન પણ ન થાય તેની તકેદારી હવે સ્થિતી એવી સર્જાઈ છે કે, હવે ક્ષત્રિયો સાથે સમાધાન થાય તે તક ભાજપે ગુમાવી દીધી છે. આંદોલન હવે ઠરે તેવી શક્યતા નહીંવત છે કેમકે, આંદોલનની આગ છેક ગ્રામ્ય સ્તર સુધી પહોંચી ચૂકી છે. ભાજપના નેતા ખુદ માની રહ્યા છે કે, હવે ચૂંટણીમાં મતદાનના માધ્યમથી ક્ષત્રિયો ભાજપને ઓછું નુકસાન કરે તેવા પ્રયાસ કરવા પડશે. આ સંજોગોમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ ધારાસભ્યો ધર્મસંકટમાં મૂકાયા છે. કેમ કે એક તરફ પક્ષનું દબાણ છે તો બીજી તરફ સમાજ માનવા તૈયાર નથી. આ પરિસ્થિતિમાં શું કરવું એ મોટો પ્રશ્ન છે.