'આંદોલન નિષ્ફળ જાય તો બંગડીઓ પહેરવા તૈયાર રહેજો..' પદ્મિની બાની ક્ષત્રિય આગેવાનોને ચેતવણી
Updated: Apr 30th, 2024
Lok Sabha Elections 2024 | પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિયોની બેન-દીકરીઓ અંગે કરેલી ટિપ્પણીથી નારાજ ક્ષત્રિય સમાજ ચારેકોરથી ભાજપને હરાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ભાજપને તેનાથી કોઇ વધારે ફેર ન પડતો હોય તેવું દેખાતા પદ્મિની બાએ હવે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યો સામે જ આંગળી ચીંધી છે.
હું તો સંકલન સમિતિ સાથે નથી...
પદ્મિની બાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે હું આ આંદોલનમાં સંકલન સમિતિની સાથે નથી. તેઓ ફક્ત સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. ચાર-પાંચ લોકો જ પોતાની ઈચ્છા અનુસાર સમિતિનું સંચાલન કરી રહ્યા છે. ગામે-ગામે ક્ષત્રિયો હેરાન થઈ રહ્યા છે. ચૂંટણી બાદ આ સમિતિનું કોઈ મહત્ત્વ નહીં રહે. પદ્મિની બાએ આકરો સવાલ કરતાં પૂછ્યું કે શું કોઈ મને કહેશે કે જ્યારે રૂપાલા ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે આ લોકો ક્યાં જઈને સૂઇ ગયા હતા?
શું બોલ્યાં પદ્મિની બા વાળા...?
ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરનારા પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પદ્મિની બા વાળાએ ઉપવાસ શરૂ કર્યા હતા. જોકે હવે તેમણે સંકલન સમિતિ સામે જ સવાલો ઊઠાવવાની શરૂઆત કરી છે. પોતાના આકરા મિજાજ અનુસાર જ તેમણે સંકલન સમિતિના સભ્યો સામે ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે જો રાજપૂતોની આબરુ જશે તો સંકલન સમિતિના સભ્યો બંગડીઓ પહેરવા તૈયાર રહે.
કોણ કોણ સામેલ છે સંકલન સમિતિમાં?
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિમાં પી.ટી જાડેજા, રમજુ જાડેજા, કરણ સિંહ સહિત અન્ય દિગ્ગજ આગેવાનો સામેલ છે. પદ્મિની બા તેમના નિવેદનમાં બોલી ગયા કે જો આંદોલન નિષ્ફળ ગયું અને ભાજપ જીતી ગયો તો સંકલન સમિતિના સભ્યો સમજી લે કે પાંચેય સભ્યોને હું બંગડી પહેરાવીશ.