'ક્ષત્રિય આંદોલનને કચડી નાખવાનું કૃત્ય ભાજપે જ કર્યું...' કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાનો ગંભીર આક્ષેપ
Updated: May 6th, 2024
Lok Sabha Elections 2024 | ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમદાવાદની મુલાકાતે આવેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે એવો આક્ષેપ કર્યોકે, ગુજરાત એ આંદોલનની ભૂમિ છે. પાટીદાર આંદોલન જ નહીં, ક્ષત્રિય આંદોલન કચડી નાંખવાનું કૃત્ય આ જ ભાજપ સરકારે કર્યું છે. તેમણે ચૂંટણી ઢંઢેરાથી માંડીને મણિપુર, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતાં.
ગુજરાતમાં નાના ઉદ્યોગોની શું દશા છે? એ મુદ્દે સવાલ ઉઠાવતાં રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુંકે, જીએસટીને કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે. ઇલેક્ટોરોલ બોન્ડના નામે ચંદા લો, ધંધા લોના સૂત્ર સાથે કરોડોનો ખેલ ખેલાયો છે. ઈડી-સીબીઆઇના દરોડા બાદ ભાજપને ઘણું ડોનેશન મળ્યુ છે. ગૌ માંસ વેચનાર કંપનીએ પણ ભાજપને ડોનેશન આપ્યું છે.
મંગળસૂત્ર એ મહિલા માટે દોરો નથી એ વાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, 55 વર્ષ સત્તા ભોગવી તે કોંગ્રેસે કેટલાં મંગળસૂત્ર છિનવ્યાં? જે ઇન્દીરા ગાંધીએ યુધ્ધ માટે પોતાના ઘરેણાં આપી દીધા તેમને મંગળસૂત્ર વિશે પૂછો છો? 700 ખેડૂતોના વિધવાના મંગળસૂત્રનો હિસાબ આપોને.
ગુજરાતમાં આજે 38 હજાર શિક્ષકોની ઘટ વર્તાઇ રહી છે. 32 હજાર વર્ગખંડો ખુટી રહ્યા છે. શું આ છે ભાજપ મોડેલ? કોઈપણ ચૂંટણી હોય ભાજપ પાકિસ્તાનને ઢસડીને લાવે છે. તેના વિના ચૂંટણી અધૂરી છે. ક્ષત્રિય આંદોલન વિશે તેમણે એવા પ્રહાર કર્યા કે, ગુજરાત ક્રાંતિકારીઓની ભૂમિ રહી છે ત્યારે ભાજપ સરકારે તમામ આંદોલન કચડી નાંખ્યા છે. પાટીદાર આંદોલન હોય કે પછી ક્ષત્રિય આંદોલન. ભાજપ સરકારે આંદોલન ખતમ કરવાનું કામ કર્યુ છે. સુપ્રિયા શ્રીનેતે કોગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂર્ણ કરવાની ખાતરી ઉચ્ચારી હતી.