સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારનું વિરોધ સાથે થયું સ્વાગત, ભીખાજી ઠાકોરના સમર્થકો ફરી મેદાને
Updated: Mar 28th, 2024
Lok Sabha Elections 2024: ભાજપે રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પર પોતાના ઉમેદાવારો જાહેર કરી દીધા છે. પરંતુ સાબરકાંઠા બેઠક પર ભાજપને વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પર પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જો કે તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા ભાજપે નવા ઉમેદવાર જાહેર કર્યા છે. હવે અહીંથી ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે, પરંતુ તેમની સામે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આજે અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે ભીખાજીનાં સમર્થકોએ શોભનાબેન બારૈયાની હાજરીમાં વિરોધ કર્યો હતો.
ભીખાજીને ટિકિટ આપવા માંગ
સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરે ટિકિટ આપવાની સમર્થકોની માંગ છે. ભાજપ કાર્યાલય પર વિરોધને લઈ કાર્યાલયનાં દરવાજા બંધ કરાવવાની ફરજ પડી હતી. ત્યારે વિરોધ કરી રહેલા કાર્યકરોને અટકાવવા પોલીસ બોલાવવી પડી હતી.
પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય છે: ભીખાજી ઠાકોર
ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા બેઠક પર મહિલાને ટિકિટ આપતા ભીખાજીનાં સમર્થકો દ્વારા રાજીનામાં આપી દીધા હતા. અગાઉ આ મામલે ભીખાજી ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, 'હું પાર્ટીની સાથે જ છું અને પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય છે. જે કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે જો મારા સમર્થકો હશે તો હું તેમને ચોક્કસ સમજાવીશ કે વિરોધ પ્રદર્શન ન કરે.'
ગુજરાતમાં મતદાન ક્યારે થશે?
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થશે. ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ થશે. 20મી મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના રોજ થશે. સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન થશે. તમામ 26 બેઠકો માટે એક સાથે ચૂંટણી યોજાશે. ચોથી જૂને પરિણામ જાહેર થશે.